મેં તો મનમાં છે સંકલ્પ કર્યો,
મારા તનમનમાં એ ભાવ ભર્યો ..મેં તો.
લેવો આશ્રય કોઈનો ના,
છોડી તમને જવું ક્યાંયે ના;
મારો પ્રાણ તમારામાં જ ઠર્યો ..મેં તો.
પૂજા એક તમારી જ કરું,
હૈયું બીજાને ના જ ધરું,
મારો તે દિનથી છે સમય ફર્યો ..મેં તો.
વરવું તમને, ભજવું તમને,
રટવામાં મળતો રંગ મને,
અવસર છે ઉત્તમ ખરે મળ્યો ..મેં તો.
સંકલ્પ નહીં તૂટે કો’દી,
સોહાશે જગમાં શી જોડી;
‘પાગલ’ આ આતમ ભલે હર્યો ..મેં તો.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

