if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

१३. ईक्षतिकर्मव्यपदेशात् सः ।

અર્થ
ઈક્ષાતકર્મવ્યપદેશાત્ = પરમ પુરૂષને 'ઈક્ષને’ ક્રિયાનું કર્મ બતાવ્યું છે તેથી.
સઃ = એ પરમાત્મા જ.

ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદના આધાર પર અક્ષર શબ્દને પરમાત્માનો વાચક કહી બતાવ્યો એ તો બરાબર, પરંતુ પ્રશ્નોપનિષદમાં ઓમરૂપી અક્ષરને પરબ્રહ્મ અને અપરબ્રહ્મ બંનેનો પ્રતીક કહ્યો છે. તો ત્યાં અક્ષરને અપરબ્રહ્મના અર્થમાં ના લઈ શકાય ? આ સૂત્રમાં એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

પ્રશ્નોપનિષદમાં જણાવ્યું છે કે 'જે ત્રણ માત્રાવાળા ઓમરૂપી અક્ષર દ્વારા જ આ પરમપુરૂષનું અહર્નિશ ધ્યાન ધરે છે તે તેજોમય સૂર્યલોકમાં જાય છે. અને સાપ કાંચળીનો ત્યાગ કરે છે તેવી રીતે પાપમાંથી મુક્તિ મેળવે છે. એ પછી એને સામવેદની ઋચાઓ દ્વારા ઉપર બ્રહ્મલોકમાં લઈ જવામાં આવે છે. એ આ જીવસમુદાયરૂપી પરતત્વથી અત્યંત શ્રેષ્ઠ અંતર્યામી પરમપુરૂષનો સાક્ષાત્કાર કરી લે છે. ’ એ મંત્રનો વિચાર કરવાથી જણાય છે કે એમાં પરબ્રહ્મ પરમાત્માને જ ઓમકારની આરાધનાના આદર્શરૂપ કહેવામાં આવ્યા છે, એ આદર્શને જીવસમુદાયરૂપ હિરણ્યગર્ભરૂપી અપરબ્રહ્મ કરતાં શ્રેષ્ઠ પણ જણાવ્યો છે.

એ મંત્રમાં છેલ્લે 'स एतस्माज्जीवधनात् परात्परं पुरिशयं पुरूषमीक्षते’ । એવો શબ્દપ્રયોગ આવે છે તે પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે.

---

१४. दहर उत्तरेभ्यः ।

અર્થ
દાહરઃ = દહર શબ્દ દ્વારા જે જ્ઞેય વસ્તુનું વર્ણન કરાયું છે તે પણ પરમાત્મા જ છે.
ઉત્તરેભ્ય = કેમ કે એની પછીના શબ્દોથી એ સિદ્ધ થાય છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં બ્રહ્મપુરાન્તર્ગત દહર આકાશનું વર્ણન કરીને એમાં રહેલી વસ્તુને જાણવાની પ્રેરણા પૂરી પાડી છે. એના પરથી એ દહર શું છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. એ ઉપનિષદમાં કહ્યું છે કે 'આ બ્રહ્મના પુરરૂપી મનુષ્ય શરીરમાં કમળના આકારવાળું ઘર અને એની અંદર સૂક્ષ્મ આકાશ છે. એમાં જે સૂક્ષ્મ વસ્તુ છે તેને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. ’

મૂળ મંત્ર આ રહ્યો.
अथ यदिदमस्मिन् ब्रह्म, पुरे दहरं पुण्डरीकं वेश्म दहशेङस्मिन्नन्तराकाशत्मस्मिन्
यद्न्तस्तदन्वेष्टव्यं तद् वाव विजिज्ञासितच्यम् 

ત્યાં જે જ્ઞેય વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે તે વસ્તુ પરમાત્મા જ છે અને દહર શબ્દના લક્ષ્ય પણ એ જ છે. કારણ કે આગળના વર્ણનમાં એની અંદર બ્રહ્માંડ રહેલું છે એવું કહીને જણાવ્યું છે કે આત્મા પાપરહિત, વૃદ્ધાવસ્થા તથા મૃત્યુથી મુક્ત, શોક વગરનો, ક્ષુધાતૃષાથી પર, સત્યકામ તેમ જ સત્યસંકલ્પ, અમૃત, અભય અને બ્રહ્મ છે. એનું નામ સત્ય છે. એ બધા વર્ણન પરથી એ સ્પષ્ટીકરણને સમર્થન મળે છે.

---

१५. गतिशब्दाभ्यां तथा दष्टं लिंग च ।

અર્થ
ગતિશબ્દાભ્યામ્ = બ્રહ્મમાં ગતિનું વર્ણન અને બ્રહ્મવાચક શબ્દ હોવાથી
તથા દ્દષ્ટમ્= બીજે સ્થળે એવું વર્ણન દેખાયું છે માટે
ચ = અને.
લિંગમ્ = આ વર્ણનમાં આવેલાં લક્ષણ પણ બ્રહ્મનાં છે માટે. (દહર નામથી બ્રહ્મનું જ વર્ણન છે.)

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે 'જીવસમૂહ રોજ સુષુપ્તિદશામાં આ બ્રહ્મલોકમાં જાય છે પરંતુ અસત્ય અથવા અવિદ્યાથી આવૃત હોવાથી એને નથી જાણતા.’ એ વાક્યમાં બ્રહ્મલોકમાં જવાનું કહીને ગતિનું વર્ણન કરેલું છે, અને દહરને બ્રહ્મલોક કહી બતાવ્યું છે. એટલે દહર શબ્દ પરમાત્માનો જ બોધક છે.

બીજે સ્થળે 'એ સુષુપ્તદશામાં જીવ સત્ નામથી ઓળખાતા પરમાત્મા સાથે જોડાય જાય છે.’ એવું કહ્યું છે. એટલે પણ દહર શબ્દ પરમાત્માને માટે જ વપરાયો છે એવું પુરવાર થાય છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.