Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

३५. क्षत्रियत्वावगतेश्चोत्तरत्र चैचरथेन लिंगात् ।
 
અર્થ
ક્ષત્રિયત્વાવગતેઃ = જાનશ્રુતિ ક્ષત્રિય હતો. એવું ઉપનિષદમાં આવેલાં લક્ષણો પરથી જણાય છે તેથી
ચ = અને
ઉત્તરત્ર = પાછળથી બતાવેલા
ચૈત્રરથેન = ચૈત્રરથના સંબંધથી.
લિંગાત્ = ક્ષત્રિયત્વસૂચક ચિન્હ કે પ્રમાણ પ્રાપ્ત થાય છે એથી પણ.

ભાવાર્થ
રાજા જાનશ્રુતિ શુદ્ર નહતો પરંતુ ક્ષત્રિય હતો. એવું છાંદોગ્ય ઉપનિષદના એ પ્રસંગ દ્વારા જ પુરવાર થાય છે. એ પ્રસંગમાં એને શ્રદ્ધાપૂર્વક દાન દેનારો અને ભોજનાદિ દ્વારા અતિથિનો સત્કાર કરનારો કહ્યો છે. એના વૈભવનું વર્ણન પણ તેમાં કરવામાં આવ્યું છે. રાજાની કન્યાનો રૈકવે પત્નિ તરીકે સ્વીકાર કર્યો એવો નિર્દેશ પણ ત્યાં જોવા મળે છે.

એ ઉપરાંત, રૈકવ મુનિએ આગળ પર જે આખ્યાયિકા કહી છે તેમાં રાજા જાનશ્રુતિને ત્યાં બ્રાહ્મણ શૌનક અને ક્ષત્રિય ચૈત્રરથને જમાડવાની વાત કહી બતાવી છે. જાનશ્રુતિ શૂદ્ર હોત તો એ બંને એને ત્યાં જમી ના શકત. એ વખતની સામાજિક પરંપરા એવી હતી એટલે રાજા જાનશ્રુતિ ક્ષત્રિય હતો એમાં કોઈ પ્રકારની શંકા કરવાનું કારણ નથી રહેતું.

---

३६. संस्कारपरामर्शात्तदभामिलापाच्छ ।

અર્થ
સંસ્કારપરામર્શાત્ = ઉપનયનાદિ સંસ્કારોને આવશ્યક માનવામાં આવ્યા છે માટે.
ચ = અને. 
તદ્દભાવાભિલાપાત્ = શૂદ્રના જીવનમાં એ સંસ્કારોનો અભાવ હોય છે માટે.

ભાવાર્થ
વેદાધ્યયનમાં કે વેદ વિદ્યાની પ્રાપ્તિમાં ઉપનયનાદિ સંસ્કારોને અત્યંત આવશ્યક માનવામાં આવ્યા છે. ઉપનયન સંસ્કારથી સંપન્ન થયા પછી સદ્ ગુરૂ પુરૂષો પહોંચીને વેદ વિદ્યાની સંપ્રાપ્તિ કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. શૂદ્ર એ સંસ્કારથી વંચિત હોવાથી સ્વાભાવિક રીતે જ વેદાધ્યયન કે વેદ વિદ્યા પ્રાપ્તિના અધિકારથી વંચિત રહી જાય છે.

---

३७. तदभावनिर्धारणे च प्रवृत्तेः ।

અર્થ
તદ્દભાવ નિર્ધારણે = શિષ્યમાં શૂદ્રત્વનો અભાવ નક્કી કરવા માટે
પ્રવૃત્તેઃ = આચાર્યની પ્રવૃત્તિ દેખાય છે માટે. 
ચ = પણ.

ભાવાર્થ
શૂદ્રનો વેદવિદ્યામાં અધિકાર નથી એ દર્શાવવા માટે વધારામાં કહેવામાં આવે છે કે ઉપનિષદમાં સત્યકામ જણાવે છે કે મને મારા ગોત્રની માહિતી નથી. મેં મારી માતાને પૂછતા તેણે જણાવેલું કે મને ગોત્રની ખબર નથી. મારૂં નામ જબાલા છે ને તારૂં નામ સત્યકામ. એટલે હું જબાલાનો પુત્ર સત્યકામ છું. ગુરૂ ગૌતમે કહ્યું કે આવું સત્ય ભાષણ બ્રાહ્મણ વિના બીજું કોઈ જ ના કરી શકે. આચાર્યે સત્યકામ શૂદ્ર નથી, બ્રાહ્મણ છે એવો નિર્ણય કરીને એને સમિધા લાવવાનો આદેશ આપ્યો અને એને ઉપનયન સંસ્કારથી સંપન્ન કર્યો. એથી સિદ્ધ થાય છે કે વેદ વિદ્યામાં શૂદ્રનો અધિકાર નહોતો મનાતો ને નથી.