११. तर्काप्रतिष्टानादप्यन्यथानुमेयमिति चेदेवमप्यनिर्मोंक्ष प्रसंग ।
અર્થ
ચેત્ ઈતિ = જો કહેતા હો કે,
તર્કાપ્રતિષ્ઠાનાત્ = તર્કની પ્રતિષ્ઠા ના થાય તો
અપિ = પણ.
અન્યથાનુમેયમ્= બીજી રીતે અનુમાન દ્વારા કારણનો નિર્ણય કરવો જોઈએ.
એવમ્ અપિ = તો એ અવસ્થામાં પણ
અનિર્મોક્ષ પ્રસંગ = મોક્ષની પ્રાપ્તિ ના થવાનો પ્રસંગ ઉભો થશે.
ભાવાર્થ
એક દલીલ કે વિચારસરણીવાળાની વાતને બીજી વિચારસરણીવાળા ના માને અને એમની વિચારસરણીને એ વિચારસરણીવાળા તથા બીજા પણ ના સ્વીકારે એવું તો બનતું જ રહેવાનું. એ પરિસ્થિતિમાં કોઈ એક ચોક્કસ વિચારસરણીની સિદ્ધિ નહિ થવાની. એ સંજોગોમાં અનુમાનનો આધાર લઈને નિર્ણય પર પહોંચવું જોઈએ એવું કહેવાનું પણ બરાબર નથી. કારણ કે વેદપ્રમાણરહિત કોઈપણ અનુમાનને આદર્શ નહિ કહી શકાય, અને એવા અનુમાનની મદદથી તત્વજ્ઞાનની તથા તે દ્વારા મોક્ષની પ્રાપ્તિ નહિ થઈ શકે. સાંખ્યમત મોક્ષમાં માનતો હોવાથી એની પોતાની અંદર જ એવી રીતે મોક્ષપ્રાપ્તિ ના થવાનો દોષ પેદા થશે.
---
१२. एतेन शिष्टापरिग्रहा अपि व्याख्याताः ।
અર્થ
એતેન = આ વિવેચન અથવા સિદ્ધાંત દ્વારા
શિષ્ટાપરિગ્રહા = શિષ્ટ પુરૂષો દ્વારા અસ્વીકૃત બીજા બધા જ સિદ્ધાંતો કે મતોનો.
અપિ = પણ.
વ્યાખ્યાત = પ્રતિવાદ કરવામાં આવ્યો.
ભાવાર્થ
આ સૂત્ર દ્વારા વર્તમાન વિષયની પૂર્ણાહુતિ કરતાં કહેવામાં આવ્યું કે પ્રધાનકારણવાદીની પેઠે બીજા મતમતાંતરોમાં કે શિષ્ટ પુરૂષો દ્વારા અસ્વીકૃત સિદ્ધાંતોમાં માનનારા બીજા બધાને પણ ઉચિત ઉત્તર આપી દેવામાં આવ્યો. એમને માટે કોઈ અલગ ચર્ચાવિચારણાની આવશ્યક્તા ના રહી.