Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

३६. उपपद्यते चाप्युपलभ्यते च ।

અર્થ
ચ= તદુપરાંત 
ઉપપદ્યતે = યુક્તિથી સિદ્ધ થાય છે. 
ચ = અને.
ઉપલભ્યતે અપિ = એવું વર્ણન પણ મળે છે.

ભાવાર્થ
જીવ અને એનાં કર્મો અનાદિ છે એવું માનવા પાછળ કોઈ ચોક્કસ પ્રમાણ છે ખરૂં ? એવી જીજ્ઞાસાના જવાબમાં જણાવવામાં આવે છે કે હા. પ્રમાણ છે. શાસ્ત્રોમાં એવું વર્ણન જોવા મળે છે. ઉપનિષદ તથા ગીતામાં જીવાત્માને અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન તથા શરીરના નાશ છતાં પણ નાશ ના પામનારો કહ્યો છે.

'જીવ અંશ ઈશ્વર અવિનાશી’ કહીને રામાયણ પણ એને અવિનાશી જણાવે છે. યુક્તિ દ્વારા પણ એ હકીકતને પુષ્ટિ મળે છે. કારણ કે જીવ અને એનાં કર્મોને અનાદિ ના માનીએ તો પ્રલયકાળમાં સૌ કોઈ પોતાની મેળે જ મુક્તિ મેળવે છે એવું માનવું પડશે વળી પ્રલયકાળમાં પરમાત્માને પામેલા જીવોના પુનરાગમનનો દોષ પેદા થશે. પરમાત્મા પક્ષપાતી હોવાનો દોષ તો રહેશે જ. ગીતામાં તેરમા અધ્યાયમાં સ્પષ્ટ કહ્યું છે કે 'પુરૂષ તથા પ્રકૃતિ બંનેને અનાદિ જાણો.’

---

३७. सर्वधर्मोपिपत्तेश्च ।

અર્થ
સર્વ ધર્મોપપત્તેઃ = પરમાત્મામાં સર્વે ધર્મોની સંગતિ હોવાથી. 
ચ = પણ.

ભાવાર્થ
પરમાત્મામાં સઘળા અસાધારણ ધર્મોનો સમાવેશ થયેલો છે. એ સર્વ સમર્થ, સર્વજ્ઞ, સર્વ વ્યાપક, સૌના અધીશ્વર છે. એ કર્તા હોવા છતાં અકર્તા, વ્યક્ત તથા અવ્યક્ત, અણુથી સુક્ષ્મ અને વિરાટથી વિરાટ, સગુણ તથા નિર્ગુણ, અને સર્વાતીત હોવા છતાં સુરૂપ અને સર્વગત છે. એવા અલૌકિક ગુણધર્મો એમના સિવાય બીજા કોઈની અંદર નથી દેખાતા. એમના અસ્તિત્વની બીજા કોઈની અંદર કલ્પના પણ નથી કરી શકાતી માટે એક એમના સિવાય બીજું કોણ જગતની ઉત્પત્તિ કરી શકે એમ છે ? બીજા કોઈનામાં જગતને રચવાની, રક્ષવાની, પોષવાની અને પોતાના અનંત ઉદરમાં સમાવવાની સર્વશ્રેષ્ઠ શક્તિ જ ક્યાં છે ? એમની બરાબરી બીજું કોઈ જ નથી કરી શકે તેમ.

અધ્યાય ૨ - પાદ ૧ સંપૂર્ણ.