Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

९. अनयथानुमितौ च ज्ञशक्रिवियोगात् ।

અર્થ
અન્યથા = બીજી રીતે.
અનુમતિ = ગુણોની સામ્યાવસ્થાના ભંગનું અનુમાન કરવાથી. 
ચ = પણ.
જ્ઞશક્તિવિયોગાત્ = પ્રધાન જ્ઞાનશક્તિથી વંચિત હોવાથી.

ભાવાર્થ
માનવાને માટે માની લઈએ કે પ્રકૃતિના ગુણોની સામ્યાવસ્થાનો ભંગ કાળ જેવાં બીજા કોઈક કારણોથી થાય છે તો પણ પ્રધાન જ્ઞાનશક્તિથી રહિત હોવાથી બુદ્ધિપુર્વક જગતની રચનાદિ પ્રવૃત્તિ ના કરી શકે. જગતના પાર વિનાના પદાર્થોનું નિરીક્ષણ કરવાથી ને આ વિશાળ વિશ્વનો વિચાર કરવાથી એટલું તો સહેજે સમજાય છે કે એની રચના કરનારી શક્તિ સાધારણ નહિ હોય. એ ચેતનશક્તિ અનંત જ્ઞાન તથા સામર્થ્ય અને ઐશ્વર્યાદિથી સંપન્ન હશે. પ્રકૃતિ અથવા પ્રધાનમાં એવી વિશિષ્ટતા કે યોગ્યતાનો અભાવ હોવાથી-કારણકે એ જડ છે-એને જગતના કારણ તરીકે ના કહી શકાય. જગતના કારણ તો અનંત જ્ઞાન, અસીમ સામર્થ્ય અને અલૌકિક ઐશ્વર્યાદિથી અલંકૃત એકમાત્ર પરમાત્મા જ છે એમાં કશી શંકા નથી રહેતી.

---

१०. विप्रतिषेधाञ्चासमञ्जसम् ।

અર્થ
વિપ્રતિષેધાત્ = પરસ્પર વિરોધી વાતોનું વર્ણન કરવાને લીધે. 
ચ = પણ.
અસમંજસમ્ = સાંખ્યદર્શન દોષરહિત નથી. દેખાતું.

ભાવાર્થ
સાંખ્યદર્શનમાં પરસ્પર વિરોધી વિચારો જોવા મળે છે. એમાં પુરૂષને અસંગ અને નિષ્ક્રિય માન્યો છે, એને જ પ્રકૃતિનો દૃષ્ટા તથા ભોક્તા કહી બતાવ્યો છે, પ્રકૃતિ સાથે એનો સંયોગ થાય છે એવું જણાવ્યું છે, પ્રકૃતિ પુરૂષને ભોગ તથા મોક્ષ આપે છે એવું વર્ણવ્યું છે, તથા પ્રકૃતિ તથા પુરૂષના ભેદના જ્ઞાનને લીધે થતી દુઃખની નિવૃત્તિને જ મોક્ષ માનવામાં આવે છે. એ બધાં વિધાનો પરસ્પર વિરોધી છે અને આદર્શ નથી લાગતાં. એમનો સ્વીકાર કોઈ પણ રીતે નથી કરી શકાય તેમ. એટલે સાંખ્યદર્શનના સિદ્ધાંતો દોષયુક્ત લાગે છે.