४१. अन्तवत्त्वमसर्वज्ञता वा ।
અર્થ
અન્તવત્વમ્ = પરમાત્મા અંતવાળા હોવાનો
વા = અથવા.
અસર્વજ્ઞતા = સર્વજ્ઞ ના હોવાનો દોષ પેદા થાય છે.
ભાવાર્થ
પાશુપત મતમાં ઈશ્વરને અનંત અને સર્વજ્ઞ માનવામાં આવે છે. વળી પ્રકૃતિને ને જીવોને પણ અનંત કહેવામાં આવે છે. તો પછી એમના મત પ્રમાણે એ ઈશ્વર જાણે છે કે જીવ કેટલા ને કેવા છે, પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે, તથા એ પોતે પણ કેવા છે ? જો જાણતા હોય તો પ્રકૃતિને ને જીવોને અનંત નહિ કહી શકાય કારણ કે જેને જાણી શકાય છે. એને અનંત નહિ પરંતુ સાંત કહેવાય છે. જો ઈશ્વર એમના વિશે ના જાણતા હોય તો પણ એમની અંદર દોષ પેદા થશે, કારણ કે એમને સર્વજ્ઞને બદલે અલ્પજ્ઞ કહેવા પડશે. એટલા માટે એ મત માનવા જેવો નથી લાગતો.
---
४२. उत्पत्त्यसम्भवात् ।
અર્થ
ઉત્પત્ત્યસમ્ભવાત્ = જીવની ઉત્પત્તિનો સંભવ નથી એટલા માટે.
(વાસુદેવથી સંકર્ષણની ઉત્પત્તિ માનવાનું વેદવિરૂદ્ધ છે.)
ભાવાર્થ
ભાગવત તથા પાંચરાત્રમાં જણાવ્યું છે કે પરમ કારણ પરબ્રહ્મ સ્વરૂપ વાસુદેવમાંથી સંકર્ષણ નામે જીવની ઉત્પત્તિ થાય છે, સંકર્ષણમાંથી પ્રદ્યુમ્નસંજ્ઞક મન થાય છે, ને પ્રદ્યુમ્નમાંથી અહંકાર-અનિરૂદ્ધ નામધારી અહંકારની ઉત્પત્તિ થાય છે. એ માન્યતા દોષયુક્ત છે એ બતાવતાં આ સૂત્રમાં કહેવામાં આવે છે કે ભગવાન વાસુદેવમાંથી જગતની ઉત્પત્તિ થાય છે એ તો બરાબર છે, પરંતુ એમનામાંથી સંકર્ષણ નામે જીવની ઉત્પત્તિ થાય છે એ વાત વેદવિરૂદ્ધ છે અને માનવા લાયક નથી લાગતી, કારણ કે વેદાદિમાં જીવને જન્મમરણથી રહિત, અવિનાશી ને નિત્ય કહ્યો છે.
જે વસ્તુ પેદા થતી હોય તે કદી નિત્ય ના હોઈ શકે. જીવને ઉત્પત્તિવાળો ને વિનાશશીલ માનીએ તો એની બદ્ધ અને મુક્ત અવસ્થાના વર્ણનનો અને એ અવસ્થાને માટેના સાધનોના અનુષ્ઠાનનો કશો અર્થ નહિ રહે. માટે જીવને ઉત્પત્તિવાળો માનવાનું યોગ્ય નથી.
---
४३. न च कर्तुः करणम् ।
અર્થ
ચ = અને.
કર્તુઃ = કર્તાથી (જીવાત્માથી).
કરણમ્ = (મન અને એમાંથી અહંકાર) ની ઉત્પત્તિ પણ.
ન = ના થઈ શકે.
ભાવાર્થ
ભગવાન વાસુદેવમાંથી જેવી રીતે જીવની ઉત્પત્તિ એકદમ અશક્ય છે તેવી રીતે જીવાત્મા - સંકર્ષણ નામક જીવાત્મામાંથી પ્રદ્યુમ્ન નામક અહંકારની ઉત્પત્તિ પણ અશક્ય હોવાથી નથી માની શકાય તેમ. જીવાત્મા કર્તા તથા ચેતન અને મન કરણ છે એટલે કર્તામાંથી કરણની ઉત્પત્તિ ના થઈ શકે. પૂર્વપક્ષવાળા એવી શંકા કરે છે.

