Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

३६. व्यपदेशाच क्रियार्यां न चेन्निर्देंशविपर्ययः ।

અર્થ
ક્રિયાયામ્ = ક્રિયા કરવામાં.
વ્યપદેશાત્ = જીવાત્માના કર્તાપણાનું ઉપનિષદમાં કથન હોવાથી.
ચ = પણ. (જીવાત્મા કર્તા છે.)
ચેત્ = જો.
ન = જીવાત્માને કર્તા કહી બતાવવાનું ઉચિત ના હોત તો.
નિર્દેશવિપર્યયઃ = ઉપનિષદનો સંકેત એથી ઊલટો હોત.

ભાવાર્થ
ઉપનિષદમાં જીવાત્મા કર્તા છે એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. તૈત્તિરીય ઉપનિષદ જણાવે છે કે 'જીવાત્મા યજ્ઞનો વિસ્તાર કરે છે અને એને માટે કર્મોનો વિસ્તાર કરે છે’ विज्ञानं यज्ञं तनुते कर्माणि तनुतेङपि च । ત્યાં વિજ્ઞાન શબ્દ બુદ્ધિનો નહિ પરંતુ જીવાત્માનો જ વાચક છે કારણ કે એ પ્રકરણ વિજ્ઞાનમય નામથી જીવાત્માનું જ છે, બુદ્ધિનું નથી. શ્રુતિ અથવા ઉપનિષદમાં જો જીવાત્માને કર્તા ના માનવામાં આવ્યો હોત તો એ માન્યતાનો પડઘો સ્પષ્ટ રીતે પાડવામાં આવ્યો હોત. પરંતુ એવો નિર્દેશ કોઈ ઠેકાણે નથી મળતો. એથી જીવાત્મા જ કર્તા છે એવું સાબિત થાય છે.

---

३७. उपलब्धिवदनियमः  ।

અર્થ
ઉપલબ્ધિત્ = સુખદુઃખાદિ ભોગોની પ્રાપ્તિ પેઠે.
અનિયમઃ = કર્મ કરવામાં પણ નિયમ નથી.

ભાવાર્થ
હવે પ્રશ્ન એ થાય છે કે જીવાત્મા ખરેખર કર્તા છે તો પછી સત્કર્મો કેમ નથી કરતો અને કુકર્મપરાયણ પણ કેમ બને છે ? એણે તો સદાને માટે પોતાના કલ્યાણનાં જ કર્મો કરવા જોઈએ, અને ભૂલેચૂકે પણ કુકર્મપરાયણ ના બનવું જોઈએ. એનો ઉત્તર એ છે કે કર્મ કરવામાં પણ કોઈ નિશ્ચિત નિયમ નથી બાંધી શકાતો. એને સુખદુઃખ જેવા જે ભોગો મળે છે એમાં એવો નિયમ નથી પ્રવર્તતો. એકલું સુખ જ મળે ને દુઃખ ના મળે તેવી રીતે કર્મ કરવા સંબંધમાં પણ સમજી લેવાનું છે.

જો એવું કહીએ કે કરેલાં કર્મોના ફળોપભોગમાં જીવ સ્વતંત્ર નથી, એને પ્રારબ્ધ પ્રમાણે ફળ મળે છે, પરંતુ નવાં કર્મોના અનુષ્ઠાનમાં સ્વતંત્ર હોવાથી ઈચ્છાનુસાર કર્મો કરી શકે છે, તો તે પણ બરાબર નથી. કેમ કે પુર્વ કર્મોના સંસ્કારોને અનુસરીને એની જેવી રૂચિ અને પ્રકૃતિ બની હોય છે તે જ પ્રમાણે એ કર્મ કરવા પ્રેરાય છે. એટલે એવું કર્માનુષ્ઠાન સારૂં અથવા નઠારૂં બંને પ્રકારનું હોઈ શકે. આત્મચિંતન અથવા ઈશ્વરની શરણાગતિ દ્વારા વિચારો, ભાવો, સંસ્કારો ને સ્વભાવનો સમુચિત સુધાર કરીને છેવટે એ સત્કર્મપરાયણ બનીને સુખશાંતિ મેળવી શકે છે.