Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

५२. अभिसन्ध्यादिष्वपि  चैवम् ।

અર્થ
ચ = વળી.
એવમ્ = એવી રીતે.
અભિસન્ધ્યાદિષુ = સંકલ્પ વિગેરેમાં.
અપિ = પણ. (અવ્યવસ્થા થશે)

ભાવાર્થ
જીવાત્માને પરમાત્માના અંશ ના માનવાથી કર્મફળની વ્યવસ્થાનો દોષ પેદા થશે તેમ એ જીવાત્માઓના સંકલ્પ, વિચાર, સંસ્કાર આદિના વિભાગની નિયમિત વ્યવસ્થા પણ નહિ થઈ શકે. જીવાત્મા પરમાત્માંથી અલગ નહિ રહેવાથી પરમાત્માના સંકલ્પથી એમના સંકલ્પ અલગ નહિ રહી શકે અને જુદા જુદા જીવોના સંકલ્પ પણ એકબીજાની સાથે ભળી જશે. ઉપનિષદ તથા વેદોમાં પરમાત્માએ સૃષ્ટિ રચનાનો સંકલ્પ કર્યો એવું જે વર્ણન કરેલું છે તેની સંગતિ પણ નહિ બેસી શકે. કારણ કે તે વર્ણન સ્પષ્ટ રીતે સૂચવે છે કે પરમાત્મા સર્વોપરી છે અને જીવ, જગત બધું જ એમની ઈચ્છાના પરિણામે એમનામાંથી પ્રાદુર્ભાવ પામ્યું હોઈને એમના અંશ બરાબર છે.

---

५३. प्रदेशादिति चेन्नान्तर्भावात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે. 
પ્રદેશાત = ઉપાધિઓમાં દેશ ભેદ હોવાથી (બધી વ્યવસ્થા થઈ જશે.)
ઈતિ ન = તો એવું નથી. 
અંતર્ભાવાત્ = કારણ કે સઘળા દેશોનો ઉપાધિમાં અને ઉપાધિઓનો સઘળા દેશોમાં અંતર્ભાવ છે.

ભાવાર્થ
જુદી જુદી ઉપાધિઓમાં દેશભેદ હોવાને લીધે બધા જીવોના અલગ અલગ વિભાગો આપોઆપ શક્ય બનશે અને સંકલ્પ તથા કર્મફળના ઉપભોગની વ્યવસ્થા પણ સહેલાઈથી થઈ રહેશે, એવી દલીલ કરવામાં આવે તો એના સ્પષ્ટીકરણ રૂપે અહીં કહેવામાં આવે છે કે એવી દલીલ બરાબર નથી. કારણ કે ઉપાધિઓમાં દેશભેદ હોય તો પણ પરમાત્મા એ બધી જ ઉપાધિઓમાં રહેલા છે.

ઉપાધિઓ જુદી જુદી હોય તો પણ પરમાત્મા જુદા જુદા નથી બનતા. ઘટ જુદા જુદા બદલાય તો પણ આકાશ તો એક જ રહે છે. એટલે ઘટાદિ બધી જ ઉપાધિઓમાં આકાશનો અંતર્ભાવ થાય છે. એના વિભાગો નથી પડી શકતા. એવી રીતે પરમાત્માના વિભાગો નથી પડી શકતા. એમના અને જીવોના અંશાશિભાવને ઘટાકાશની પેઠે ઉપાધિના નિમિત્તથી દૃષ્ટિગોચર થનારો ના માની શકાય. એમનો અંશાંશિભાવ વાસ્તવિક છે, એવું જ માનવું બરાબર છે.

અધ્યાય ૨ - પાદ ૩ સંપૂર્ણ