Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

२०. संज्ञामूर्तिक्लृप्तिस्तु त्रिवृतकुर्वत उपदेशात् ।

અર્થ
સંજ્ઞામૂર્તિકલૃપ્તિ = નામ રૂપની રચના.
તુ = પણ.
ત્રિવૃત્કુર્વત = ત્રણે તત્વોનું મિશ્રણ કરનારા પરમાત્માનું જ (કર્મ છે.)
ઉપદેશાત્ = એવું ઉપનિષદમાં વર્ણવેલું છે માટે.

ભાવાર્થ
પરમાત્માએ તેજોદિ તત્વોની રચના કરીને એમાં જીવાત્મા સાથે પ્રવેશીને નામરૂપાત્મક જગતનો વિસ્તાર કર્યો, તો પછી નામરૂપાદિની રચના કોઈ જીવ વિશેષે કરી છે કે પરમાત્માએ તેનો નિર્ણય કરતા આ સૂત્રમાં જણાવવામાં આવે છે કે નામ રૂપાત્મક જગતની રચના જીવાત્માએ નથી કરી પરંતુ પરમાત્માએ જ કરેલી છે. જીવાત્મા સૃષ્ટિકર્તા નથી; સૃષ્ટિકર્તા તો પરમાત્મા જ છે. પરમાત્માએ જ તત્વોને પેદા કરીને એમનું મિશ્રણ કર્યું છે. નામરૂપાત્મક વિશ્વની રચના પણ એમણે જ કરી છે. અલ્પ, અલ્પજ્ઞ અથવા શક્તિવાળા જીવાત્મામાં જગત રચનાનું સામર્થ્ય ના હોઈ શકે એ સહેલાઈથી સમજી શકાય તેમ છે. એવું સામર્થ્ય કેવળ પરમાત્મામાં જ હોઈ શકે.

---

२१. मासादि भौमं यथाशब्दमितरयोश्च  ।

અર્થ
(જેવી રીતે) માસાંદિ = માંસ આદિ.
ભૌમમ્ = પૃથ્વીના કાર્ય કહ્યાં છે (તેવી રીતે)
યથા શબ્દમ્ = શ્રુતિના વચન દ્વારા જણાવ્યા પ્રમાણે.
ઈતરયોઃ = બીજા બંને તત્વોનાં કાર્ય.
ચ = પણ સમજી લેવાં જોઈએ.

ભાવાર્થ
પરમાત્માએ તત્વોના મિશ્રણથી જગતની રચના કરી તો કયા તત્વથી કયો પદાર્થ પેદા થયો ? એનો વિભાગ કેવી રીતે જાણી શકાશે ? એ પ્રશ્નના પ્રત્યત્તરમાં કહે છે કે પૃથ્વી રૂપ અન્નનાં કાર્ય માંસ, વિષ્ઠા અથવા મળ તથા મન છે તેવી રીતે ઉપનિષદના એ પ્રકરણમાં જે તત્વનાં જે કાર્ય કહી બતાવ્યાં છે તે તત્વનાં તે જ કાર્ય સમજવાં જોઈએ. પાણીનું કાર્ય મૂત્ર, રક્ત તથા પ્રાણ અને તેજનું કાર્ય હાડકાં, મજ્જા તથા વાણી છે.

---

२२. चैशेष्यात्तु तद्वादस्तद्वादः ।

અર્થ
તદ્વાદઃ = એ કથન. 
તુ = તો.
વૈશેષ્યાત્ = વિશેષતાને લીધે છે.

ભાવાર્થ
ત્રણ તત્વોના મિશ્રણથી રચના થઈ છે તો પણ એકની અધિકતા અને બીજા તત્વની અલ્પતા તો રહેવાની જ. એને લીધે મિશ્રિત તત્વોને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને જે તત્વના કાર્યને કહી બતાવવામાં કશી હરકત નથી.
તદ્વાદ: શબ્દનો છેલ્લે થયેલો બે વારનો પ્રયોગ પ્રકરણની સમાપ્તિ સૂચવે છે.
  
અધ્યાય ૨ - પાદ ૪ સંપૂર્ણ
ઈતિ અધ્યાય ૨