Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

२०. सम्बन्धादेवमन्यत्रापि ।

અર્થ
એવમ્ = એવી રીતે.
સમ્બન્ધાત્ = ઉપાસ્યના સંબંધથી.
અન્યત્ર = બીજે સ્થળે.
અપિ = પણ. (વિદ્યાની એકતા માનવી જોઈએ કે નહિ ?)

ભાવાર્થ
આ સૂત્ર દ્વારા ઉપરના સૂત્રમાં વ્યક્ત થયેલી વિચારસરણીના અનુસંધાનમાં પૂર્વપક્ષી કહે છે કે ઉપાસ્યનો સંબંધ તો બૃહદારણ્યક ઉપનિષદમાં અન્યત્ર પણ દેખાય છે. એમાં પહેલાં જણાવ્યું છે કે સત્ય જ બ્રહ્મ છે. પછી એ સત્યની સૂર્યમંડળમાં અને આંખમાં સ્થિતિ પુરૂષની સાથે એકતા બતાવવામાં આવી છે. એ પછી એ બંનેનાં અહર્ અને અહમ્ જેવાં અત્યંત વિલક્ષણ નામ આપવામાં આવ્યાં છે. ત્યાં ઉપાસ્યનો સંબંધ સરખો હોવા છતાં, ઉપાસનાના પ્રકાર બે છે. તો એમાં ભેદ માનવો જોઈએ કે અભેદ ? ઉપાસનાની  દૃષ્ટિએ ભેદ માનીએ તો પણ ઉપાસ્યનો અભેદ તો ત્યાં પણ છે જ.

---

२१. न वा विशेषात् ।

અર્થ
ન વા = એ બંનેની એકતા ના માનવી જોઈએ.
વિશેષાત્ = કારણ કે એ બંને પુરૂષોના વિલક્ષણ નામ અને સ્થાનમાં ભેદ છે.

ભાવાર્થ
પૂર્વપક્ષીને પ્રત્યત્તર પૂરો પાડતાં અહીં જણાવવામાં આવે છે કે એ બંને ઉપાસનામાં નામ તથા સ્થાનમાં ભેદ છે. સૂર્યમંડળમાં સ્થિત પુરૂષનું નામ અહર્ છે અને આંખમાં રહેનારા પુરૂષનું નામ અહમ્. એવી રીતે એ ઉપાસનાઓ અલગ અલગ છે એવું સ્પષ્ટ થાય છે. એમની વચ્ચે એકતા કે સમાનતા છે એવું ના કહી શકાય.

---

२२. दरेशयति च ।

અર્થ
દર્શયતિ ચ = શ્રુતિમાં એ વાત કહી છે પણ ખરી.

ભાવાર્થ
નામ તથા સ્થાનનો ભેદ હોય ત્યારે એક સ્થળના ગુણો બીજે સ્થળે ઘટાવી શકાય નહિ એવું વિધાન શ્રુતિમાં પણ જોવા મળે છે. એની પ્રતીતિ કરાવવા માટે છાંદોગ્ય ઉપનિષદને યાદ કરવામાં આવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં આધિદૈવિક સામના પ્રસંગમાં સૂર્યસ્થ પુરૂષનું વર્ણન કરીને પછી આધ્યાત્મિક સામના પ્રસંગમાં નેત્રસ્થ પુરૂષનું વર્ણન કરવામાં આવ્યું છે, અને સૂર્યસ્થ પુરૂષના નામરૂપ આદિનું નેત્રસ્થ પુરૂષમાં વિધાન કરીને શ્રુતિએ બંનેની એકતા કરી છે. એવી રીતે વિદ્યાની એકતા માનીને ગુણોનો ઉપસંહાર કરવો આવશ્યક હોય છે ત્યારે શ્રુતિ પોતે જ કહી દે છે, અથવા એની સ્પષ્ટતા કરે છે.