સ્વાતંત્ર્યની સિદ્ધિની સાથે
પ્રગતિનો પુરુષાર્થ પૂરો થાય છે,
એમ માનનારી પ્રજા ખરેખર ભૂલ ખાય છે,
પાર વિનાની પીડા સહન કરે છે.
સ્વાતંત્ર્યની સિદ્ધિ તો
માત્ર સુશાંતિ અને સમૃદ્ધિના સૂર્યોદયની શરૂઆત છે;
કેટલાંય કમળોને એ પછી ખીલવાનું,
પુષ્પોને પ્રકટવાનું,
પંખીની પંક્તિઓને પ્રફુલ્લિત થવાનું,
અંધકારના અનેકાનેક આવરણનો અંત આણવાનું
એની પછી શેષ રહે છે.
સ્વાતંત્ર્યની સિદ્ધિમાં એ માટેની શક્યતા છે,
પરંતુ સંપૂર્ણતા નથી:
એનું વિસ્મરણ કરનારી પ્રજા ખરેખર ભૂલ ખાય છે;
પાર વિનાની પીડાગર્તામાં,
પ્રશ્નો તેમજ સમસ્યાઓમાં,
ધકેલાઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી

