કવિઓ કાળના પ્રવાહમાં વહેતી આવતી એક કથા કહે છે:
સૂર્ય ને ચંદ્ર વચ્ચે વિવાદ થયો : ભયંકર વિવાદ.
કોણ મોટું ? સૂર્ય કે ચંદ્ર ?
કોનો પ્રકાશ વધારે અમૃતમય ? અવનીને માટે કોણ વધારે આશીર્વાદરૂપ ?
કોણે નષ્ટ થવું ને કોણે જીવવું ?
કહે છે કે, આખરે બંનેની વચ્ચે સમાધાન થયું-કહો કે કોઈકે કરાવ્યું.
એ પ્રમાણે સૂર્ય દિવસે ઊગે, ચંદ્ર રાતે ચમકે.
બંને પોતપોતાની રીતે વસુંધરાનું હિત કરે, વસુંધરાને બંનેનો લાભ મળ્યો.
સૂર્ય ને ચંદ્રનો ગજગ્રાહ એવી રીતે શમી ગયો.
માનવ આજે સહઅસ્તિત્વની વાત કરે છે,
અને એના વિશે આશંકા સેવે છે,
પણ પ્રકૃતિ તો એનો અમલ વરસોથી કરે છે,
અરે યુગોથી-સર્જનના પ્રારંભથી જ.
- શ્રી યોગેશ્વરજી

