શરદઋતુના આજના આકાશને અવલોકીને
મને અપાર આનંદ થયો છે; ઘણું જાણવાનું મળ્યું છે.
મારી શંકા મટી ગઈ છે.
કેટલું બધું નિરભ્ર, સ્વચ્છ આકાશ છે ?
સુંદર તથા સુધામય પણ કેટલું ?
વર્ષાઋતુની પરિસમાપ્તિ પછીનું આવું આકાશ આજે જ જોવા મળ્યું છે.
મારા મનમાં અત્યાર લગી એમ હતું કે
જીવનમાં આટલી બધી અસાધારણ વિશુદ્ધિ
અથવા અમૃતમયતાનો આવિર્ભાવ નહિ થઈ શકતો હોય;
પરંતુ આજે મને પ્રતીતિ થઈ કે,
એવી શુદ્ધિ, સુંદરતા અને સુધામયતા શક્ય છે, એટલું જ નહિ, સત્ય છે.
એની પહેલાં વર્ષાનાં વાવાઝોડાં થાય,
વિઘ્નો કે વિષાદની વીજળી ચમકી જાય,
અશાંતિ અથવા તો અસ્વસ્થતાનાં અભ્ર પણ એકઠાં થાય,
પરંતુ આખરે તો એમનો અંત આવવાનો, એ બધાં વિખેરાઈ જવાનાં,
અને જીવન આવું જ-અરે આથી યે અધિક આકર્ષક,
અમીમય, અમલ બનીને પ્રકાશી રહેવાનું.
શરદઋતુના આજના આકાશને અવલોકીને
મારી એ શ્રદ્ધા જાગીને બળવત્તર બની ગઈ.
- શ્રી યોગેશ્વરજી

