દુઃખના દાવાનલ સળગે તો પણ હું એમને શાંતિથી સહન કરું :
જગતના જટિલ જ્વાલામુખી મારા જીવનને જડ ના કરે,
હતાશા ને વિનાશની રાખથી ના ભરે;
એ જ્વાલામુખીનો સામનો કરતાં એમની સામે સ્મિત સાથે ઊભો રહું.
પીડાના પથ્થરપ્રહારોથી મારો પ્રાણ પીડિત ના થાય; પામર ના બને;
એમને કુસુમ જેવા કોમળ ગણે;
ગમે તેટલા ને ગમે તેવા વિરોધો પણ મને વ્યાકુલ ના કરે,
મારી શાંતિને ના હણે.
મારા પર જે કાંઈ વરસે તે સઘળું સહન કરું, શાંતિ સાથે સહન કરું,
પરંતુ બીજાનું જરા જેટલું પણ દુઃખ કે દર્દ ના સહું-
-એને દૂર કરવાના પ્રયાસમાં સર્વોત્તમ સુખ લહું,
એટલી જ મારી લાગણી છે; એ માટે મારી માગણી છે !
- શ્રી યોગેશ્વરજી

