તમે તૈયાર કરેલા જીવનના આ વિશાળ રંગમંચ પર,
તમે આપેલો અભિનય અલિપ્ત રહીને આનંદપૂર્વક કર્યો જાઉં છું.
તમે જે પાઠ પૂરો પાડ્યો છે તેને ભજવ્યે જાઉં છું.
કોઈપણ પ્રકારના બડબડાટ, ઉહાપોહ કે દેખાવ વગર,
અત્યંત શાંતિ અને આરામપૂર્વક,
મારે ફાળે આવેલા અભિનયનાં અજવાળાં
પૃથ્વી પર પ્રતિદિન પાથર્યે જાઉં છું;
દિલ પર એનો ડાઘ નથી લાગવા દેતો.
લોકોનું મારું જીવનસાફલ્ય કે સુખ જોઈને વિસ્મય થાય છે.
પરંતુ એનું રહસ્ય આ જ છે :
તમારું અનંત અનવરત અનુસંધાન અને અભિનયની એકધારી અલિપ્તતા.
અને....એક દિવસ આ જ રીતે અભિનય કરતાં કરતાં,
એની પૂર્ણાહુતિ પર પહોંચીને,
તમે આપેલો પાઠ તમને પુનઃ પ્રદાન કરીશ,
જે તમારું છે તે સસ્મિત, શાંતિપૂર્વક તમારાં ચરણમાં ધરીશ.
- શ્રી યોગેશ્વરજી

