તમારી યાદ તીવ્ર બનતાં
ને તમારાં સ્મરણો વધવા માંડતાં
હું અવાક્ બની જઉં છું;
ને તમારા સ્નેહની સાક્ષી પૂરતાં
મારું અંતર નયનમાંથી વહેવા માંડે છે.
જોનારા મને અચરજથી જુએ છે.
પણ શું કરું ?
તમારા મનમોહન રૂપને ના જોઈ શકે
એવી મારી આંખ આંધળી નથી,
ને આ અંતર પણ એટલું અશક્ત નથી
કે તમારા રોમરોમમાં પ્રકટ થતા દૈવી નાદને ના સાંભળે.
તમારી યાદ આવતાં હું અવાક્ બનું છું.
મારે તમારું સાંનિધ્ય જોઈતું નથી
ને તમારા સહવાસની મને ભૂખ પણ નથી.
હા, સ્મરણ એ જ મારું પીયુષ છે
ને પ્રેમ એ જ મારું પાન.
બીજું તો શું જાણું,
પરંતુ હા,
તમારી યાદ પાછળ ટપકી પડતાં બે-ચાર આંસુમાં
મને જીવનની ધન્યતા લાગે છે.
- શ્રી યોગેશ્વરજી

