Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મુક્તિ ?
મુક્તિ તને કોણ આપી શકે તેમ છે ? તે તો તને મળેલી જ છે.
મુક્તિને માટે તારા સમસ્ત જીવનને પર્વતોમાં ને સરિતાના તટપ્રદેશમાં જોજે, ફના કરતો !
જંગલમાં પણ જોજે, વેડફી નાખતો !
દુનિયાની તરફ દૃષ્ટિપાત કરવાનું
ને જીવનના પવિત્ર પ્રવાહનો સ્વાદ લેવાનું રખે ચુકી જતો !

મુક્તિ ?
મુક્તિ તો તારો સ્વભાવ જ છે.
પરંતુ પ્રભુની પેઠે તારે પણ તારો અભિનય કરવા આગળ આવવાનું છે,
ને એની સાથે થવાનું છે.
પ્રુથ્વીમાં તારે પ્રેમ, શાંતિ ને આનંદને વહેતાં કરવાનાં છે,
ને જુદા જુદા દેશોને કુટુંબભાવનાના એક તાંતણે બાંધવાના છે.
આપણા પ્યારા પ્રભુએ પણ જેને પૂજવાનો પ્રારંભ કર્યો છે,
તે માનવદેવતાના ચરણમાં તારે તારા પવિત્ર પાણીનો અર્ઘ્ય આપવાનો છે.
એ ઉત્તમ મહાકર્મને માટે પ્રભુએ સ્વર્ગ ને મુક્તિનું મહાસુખ પણ બાજુએ મૂક્યું છે.

મુક્તિ ?
હા. બીજા અનેકની પેઠે તેં પણ
આ પૃથ્વી પર પ્રેમ ને કરુણાના ફુવારાવાળા હૃદય સાથે પ્રવેશ ના કર્યો હોત,
તારું હૃદય આજના જેવું સહાનુભૂતિથી ભરેલું ના હોત,
ને છતી આંખે અંધ થવામાં તારો આનંદ હોત,
તો કાયમને માટેનું એવું એકાકી ને ઉદાસીન જીવન તારે માટે શક્ય હોત.
પરંતુ હવે તો ....

મુક્તિ ?
આપણું કામ તો ઈશ્વરની ઈચ્છાને અનુસરવાનું જ છે.
એ આપણને વ્યવહારની વચ્ચે મૂકે કે એનાથી અલગ કરે,
સઘળા સંજોગોમાં જરા પણ બડબડાટ કર્યા વિના એને જ અનુસરવાનું છે.
આપણા એ પ્યારા પ્રભુની હાજરીમાં આપણે ક્ષણેક્ષણે સ્વર્ગીય સુખનો સ્વાદ લેવાનો છે.

- શ્રી યોગેશ્વરજી