if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહાપુરૂષોને ઓળખવાનો સાચો ઉપાય તો તેમની કૃપામાં રહેલો છે. છતાં તેના બીજા ઉપાય પણ છે, ને ગીતાએ તેની માહિતી પૂરી પાડી છે. અર્જુન ભગવાનને પૂછે છે કે હે પ્રભો જે ખરેખર મહાન છે, તમારી કૃપા પામેલા ને સમાધિનિષ્ઠ છે, ને જેમની બુદ્ધિ સ્થિર છે, તે કેમ રહે છે, સંસારમાં કેમ ફરે છે, તેમને ઓળખવાની રીત શી છે ? તેના ઉત્તરમાં ભગવાન જે રીત બતાવે છે, તે જોઈએ.

મહાપુરૂષો શાંતિના સાકાર સ્વરૂપ જેવા હોય છે, તેમની પાસે જનાર ને બેસનારને વત્તાઓછા પ્રમાણમાં શાંતિ મળી રહે છે. ગંગા સદા શીતલ છે. તેમાં ન્હાનારને શીતલતા આપોઆપ મળી જાય છે. ચંદનની શીતલતા પણ પ્રસિદ્ધ છે. તેના ઉપયોગથી પણ ઠંડક મળે છે. સંતોની શીતલતા તેથીયે વધી જાય છે. કેમ કે સંતોના સહવાસથી શરીરને જ નહિ, મનને પણ શાંતિ મળે છે. તેમની પોતાની દશા કેવી દૈવી હોય છે ! ગમે તેવા અશાંત વાતાવરણમાં રહેવા છતાં તેમની શાંતિનો ભંગ થતો નથી. ચારે બાજુ અવાજ કે કોલાહલ થઈ રહ્યો હોય અથવા ચારેકોર પ્રવૃત્તિ હોય છતાં પણ સ્થિતપ્રજ્ઞ મહાપુરૂષો શાંત જ રહે છે, ને ઈશ્વર સાથેની એકતાના આનંદમાં મગ્ન બને છે. તેમની અનેરી અવસ્થાનું વર્ણન કરવા ગીતામાતા સાગરનું ઉદાહરણ રજૂ કરે છે. તે કહે છે કે કોઈ પાણીથી ભરપૂર ને ગંભીર સાગરની કલ્પના કરો. તેમાં નદી, નાળાં ને ઝરણાં વહ્યા કરે છે, તથા વરસાદનું પાણી પણ પડ્યા કરે છે. પાણીની કેટલી બધી સંપત્તિ સાગરમાં પડેલી છે તેનો વિચાર તો કરો ? પોતાના બલ દ્વારા કોઈના પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ તેણે કર્યો છે ? જે આવે તેને તે પોતાના વિશાળ ઉદરમાં સમાવી લે છે. ઉછળતાં તરંગોથી સૌનું સ્વાગત કરે છે, ને કોઈ યે જાતના ભેદભાવ વિના સૌને પોતાની અંદર ભેળવી દે છે.

મુંબઈના ચોપાટીના દરિયાને કદી જોયો છે ? જગન્નાથપુરી ને સૌરાષ્ટ્રના દરિયા કિનારે તો શાંતિ છે પણ ચોપાટીના દરિયા પાસે તેવું નથી, ચોપાટીના દરિયા પાસે તો રાતદિવસ હજારોની સંખ્યામાં મોટરો દોડાદોડ કરે છે, ને ભીમકાય બસો પણ દોડ્યા કરે છે. માણસોની અવરજવર પણ ઓછી નથી. તેમાંય વળી સાંજ પડે એટલે દરિયાકિનારે માણસોની ભીડ જામે છે. કેટલા બધા માણસો ! કોઈ બોલે, કોઈ ગાય, કોઈ પોકાર પાડે તો કોઈ ન્હાય; કોઈ દોડે પણ ખરા. પણ એ બધી પ્રવૃત્તિની વચ્ચે પણ સાગરની દશા કેવી હોય છે ? બહારની ધમાલથી તેની શાંતિમાં ભંગ પડે છે ખરો કે ? કોલાહલ ને અશાંતિનું કાયમને માટે પાન કરીને શંકર બનીને બેઠો હોય તેમ તે શાંત ને મંગલ જ રહે છે. કોઈ મહાન યોગેશ્વરની જેમ પોતાના આનંદમાં મગ્ન રહે છે. ને તેનું સંગીત પણ કદી ખૂટે છે ? કેટલું સતત ને સંવાદમય છે તેનું સંગીત ! દિવસો, મહિના ને વરસોથી, એનું એ જ ગર્જન ને એનો એ જ આલાપ. એ સાગરને યાદ કરીને મહાપુરૂષોની આંતરિક અવસ્થા વિશે વિચાર કરો તો મદદ મળશે.

મહાપુરૂષો પણ શાંતિના સાગર જેવા, પોતે પોતાના અંદર મસ્ત હોય છે. બહારથી તે શાંત ને ગંભીર દેખાય, પણ તેમની અંદર ડોકિયું કરો તો તે સદાય પ્રવૃત્તિપરાયણ દેખાશે; સતત સંવાદથી ભરેલા દેખાશે. તેમની પાસે જઈને તમે કહેવા માંડો કે તમે તો ઘણા મહાન છો, સંત છો, તો તરત જ કહી ઊઠશે કે ના, મહાન તો એક ઈશ્વર છે. હું તો તેના ચરણની રજ છું. તેના ચરણના દાસ જેવા સંતપુરૂષોનો પણ દાસ છું, ને તેમની ચરણરજને શિર પર ચઢાવું છું. ઈશ્વરના પ્યારા થવાનો મારો પ્રયાસ છે. સંતોની કૃપા મેળવવાનો મારો મનોરથ છે. હું તો એક સાધારણ પ્રાણી છું. વાત સાચી છે.

સંતોની દશા બાલક જેવી નમ્ર, નિર્દોષ ને નિખાલસ હોય છે. જેમ બાળકને કહેવામાં આવે કે તું નિર્દોષ છે, તો તેને તે વિચિત્ર લાગે છે. તેણે કાંઈ નવું સાંભળ્યું છે એમ તેને લાગતું નથી કેમ કે સંસારમાં નિર્દોષતા વિના બીજું હોઈ જ ના શકે એવી તેની ભાવના હોય છે. તેમ માણસ નિર્દોષ બને, નમ્ર બને, ને ઈશ્વરની કૃપા મેળવીને પરિપૂર્ણ કે ધન્ય બને, એ તો તેની ફરજ છે, તેનો સ્વભાવ છે, એમાં તે નવું શું કરી રહ્યો છે જેથી તેને લોકોત્તર કે મહાન કહેવામાં આવે, ને પ્રશંસાના પારિતોષક માટે પ્રમાણભૂત માનવામાં આવે, તે તેની સમજમાં આવતું જ નથી. ચોમાસું આવે ને મુશળધાર વરસાદ વરસે ત્યારે નદી ને ઝરણાં પાણીથી ઉભરાઈ જાય છે, તેમ વિદ્યા ને વિશેષતાથી સાધારણ માણસો ભલે છલકાઈ ઊઠે ને સંયમ ખોઈ બેસે, મહાપુરૂષો તો પોતાની શાંતિ સાચવી રાખે છે, ને નિષ્ઠામાં મશગુલ રહે છે.

પરમાત્મામાં જ આસક્ત એવા તે મહાત્માને સંસારના કોઈયે સુખ કે રસની કામના હોતી નથી. પરમાત્માને પ્રાપ્ત કરીને પ્રેમ ને સમતાની મૂર્તિ બનેલો તે મહાત્મા સંસારની શોભામાં અનેકગણો વધારો કરતાં જીવે છે. એવા મહાપુરૂષોનું દર્શન જેને થાય છે, તેના હજારો જન્મોના પુણ્યોનો ઉદય થયો એમ જ સમજી લેવું.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.