if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લોહાણા બોર્ડીંગ, વડોદરા.
તા. ૨૯ જાન્યુ. ૧૯૪૨

ભાઈ નારાયણ,

ગઈ કાલે તમારો પત્ર મળ્યો. આજે હું વડોદરા આવ્યો અને અહીંથી લગભગ અઠવાડિયા પછી ભાદરણ જવાનો છું. તે દરમિયાન અહીં હઠયોગની કેટલીક પ્રક્રિયાઓ કરવા ઈચ્છું છું. દરમ્યાન પત્ર લખવો હોય તો ભાદરણ જ લખશો. મને તે મળી શકશે. આજે હું કેટલાંક મુક્તકો તથા કાવ્યો મોકલું છું.

    પત્રમાં તમે જે લખ્યું છે તે બરાબર છે. અત્યારની પ્રકટ થતી કવિતા મોટે ભાગે અર્થઘન અને શબ્દપ્રચૂર હોઈ લોકોની વૃત્તિ પણ કાંઈક અંશે એવી કવિતા માટે ટેવાઈ ગઈ હોય છે. પણ તે ઠીક નથી. આપણે તો સામાન્ય માણસો પણ સમજી શકે તેવી કવિતા જોઈએ. ગાંધીજીએ કહેલું કે કોશિયા પણ સમજે તેવી કવિતા લખાવી જોઈએ. કવિતાની સાચી મહત્તા બહારના છંદ અને શબ્દભંડાર પર નહીં પરંતુ તેની અંદરના વિધાન તથા વસ્તુ પર જ છે. કવિતાની ભાષા સાદી જોઈએ પણ તેની અંદરની વસ્તુ પ્રેરક અને ચિરંજીવ જોઈએ. અત્યારની કવિતાની એક મોટામાં મોટી મર્યાદા એ છે કે તે ચિરંજીવી તત્વ ઓછું ધરાવે છે. શબ્દભંડાર ને પદલાલિત્યવાળી કવિતાઓ ઠેરઠેર જડશે પણ પ્રેરણા આપી શકે એવી કવિતાઓ ઓછી હશે. આ એક અધઃપતન છે. રવિન્દ્રનાથ જેવો કવિ જોઈએ છે એમ ગાંધીજીએ કહેલું. તેનો અર્થ એ જ કે રવિન્દ્રનાથનાં કાવ્યોમાં જે પ્રેરણા, સંદેશ, આશા ને સાદાઈ છે તેને કવિતામાં વણી લેનાર કવિ વધારે ઉપયુક્ત લેખાય. કદાચ થોડા સમયને માટે તેનું મૂલ્યાંકન ના થાય પરંતુ તેની મહત્તા કોઈ પણ કાળે જણાઈ રહેવાની એમાં શંકા નહીં. સાચી કવિતાનું એ લક્ષણ છે. ગુજરાતી સાહિત્યમાંથી એવી પચીસ કવિતાઓ શોધી આપશો જે તમને દુઃખના વખતમાં સુખનો સંદેશ આપે, તમે નિરાશ થયા હો તો જે તમને આશા આપે, તમને ઉચ્ચ વિચારો આપે, જિંદગીમાં તમારા મિત્ર બની રહે ? હું માનું છું કે આપણે ત્યાં એવી કવિતાઓ થોડી જ છે. બીજું, ખુલ્લે રાગે આનંદથી ગાઈ શકાય, એવાં કાવ્યો પણ કેટલાં ? ખંડકાવ્યો આપણે ત્યાં છે. પણ એમાં ચિરંજીવી તત્વ કેટલું ? રાસનું પણ એવું જ છે. ઉત્સાહ આપે, ઉચ્ચ વિચાર આપે, માર્ગદર્શન કરાવે, એવું કાવ્ય સાહિત્ય આપણે ત્યાં બહુ જ થોડું છે અને એ જ આપણી કંગાલિયત છે. આપણાં કાવ્યોમાં આ બધું છે એવો દાવો ના જ થાય, પરંતુ એક કવિ તરીકે આ દૃષ્ટિને લક્ષમાં રાખવાનો આપણો ધર્મ છે એ સંપૂર્ણ સાચું છે. આપણાં કાવ્યોમાં આધ્યાત્મિકતા વધારે હશે, પણ તેથી શું ? જીવનની સાથે સગાઈ હોય એવી આધ્યાત્મિકતા જરૂર પ્રશસ્ય છે. વળી એનું કારણ જીવનનો વિકાસ છે. આપણું જીવન પહેલું કાવ્યપ્રધાન હતું, હવે ભક્તિપ્રધાન, આધ્યાત્મિક છે એટલે કાવ્યમાં પણ એ જ વિકાસ જોઈ શકાય છે. બીજા ગમે તે કહે, આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એકની દૃષ્ટિ તે કાંઈ દરેકની દૃષ્ટિ નથી. એટલે આપણું કાર્ય ચાલુ જ રાખવું જોઈએ. એમાં સત્વ હશે, આપણા કાવ્યોમાં હીર હશે. તો તે જરૂર તરશે. રતનને ઝવેરી જ પારખે છે ને ઝવેરી ઝવેરી હોવાના દાવા કરતા નથી. તમારા કાર્યમાં સફળતા મળે એમ ઈચ્છું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.