ભરતમંદિર, ઋષિકેશ.
તા. ૮ ઓકટો. ૧૯૫૫
પ્રિય શ્રી ભાઈલાલભાઈ,
તમારો પ્રેમ પત્ર મળી ગયો છે.
સાધનાનું કામ એકાગ્રતા, ઉત્સાહ, આશા, લગન ને મજબૂત મનોબળ માગી લે છે, સાધનાનું લક્ષ જેટલુ વિશાળ તેટલો વિશાળ પરિશ્રમ કરવો પડે છે, ને ભોગ પણ આપવો પડે છે. પછી તો એક દશા એવી આવી જાય છે કે સાધનાનો બધો જ ભાર ઈશ્વર ઉપાડી લે છે. સાધકને ઈશ્વરની પ્રેરણા મળે છે, ને ઈશ્વરની શક્તિથી તે આગળ વધે છે. સાધકના હૃદયમાં સાધનાના વિચારને પોષવાનું ને તેને પરિપૂર્ણપણે સફળ કરવાનું કામ ઈશ્વર પોતે ઉપાડી લે છે. પછી સાધનાનું કામ ખૂબ સુખમય ને હળવું બની જાય છે.
રજાઓમાં તમે જે કાર્યક્રમ ગોઠવ્યો છે તે તમારે માટે પ્રેરણાદાયક થઈ પડશે. ખાસ કરીને અરવિંદ આશ્રમનું દર્શન ને નિરીક્ષણ વિચારને અનુભવની અનોખી સામગ્રી પૂરી પાડશે એ નિર્વિવાદ છે. તમારા અનુભવોને જાણવાનું કામ ઘણું રસપ્રદ થઈ પડશે. તમારી યાત્રા સુખપૂર્વક પૂરી થાય એમ ઈચ્છુ છું.
જીવનના ઘડતરનું કામ નિરંતર ચાલુ રહેવું જોઈએ. ઉત્તમ માનવ બનવા ને આધ્યાત્મિક વિકાસ કરવા સદાયે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જીવનના આધ્યાત્મિક ઘડતરમાં બે-ત્રણ વાતો બહુ મહત્વનો ભાગ ભજવે છે. પહેલી વાત તો જીવનના ધ્યેય વિશે સ્પષ્ટતા મેળવવાની છે. જીવનમાં શું મેળવવું છે અથવા કેવા સ્વરૂપનો વિકાસ કરવો છે, તે વિશે સાફ નિર્ણય કરવાની છે. કેટલાય સાધકો પોતાના ધ્યેય બાબત સ્પષ્ટ વિચારણા નથી ધરાવતા. તેમનું કામ ઘણું વિકટ બને છે, ને તેમના સમય ને સામર્થ્ય તે માટે વેડફાઈ જવાનો ભય રહે છે. ધ્યેયની સ્પષ્ટતા થાય એટલે બીજો મહત્વનો નિર્ણય તેની સિદ્ધિના અસરકારક ને અનુકૂળ સાધનનો કરવાનો છે. તે પણ ખૂબ જરૂરી વસ્તુ છે. તે પછી ત્રીજી મહત્વની વસ્તુ તે સાધનનો અમલ કરવાની છે. જ્યાં સુધી ધ્યેયની સિદ્ધિ ના થાય ત્યાં સુધી સાધકે પુરુષાર્થ કરતા રહેવાનું છે. પ્રલોભનોને વશ થયા વિના ને પ્રતિકૂળતાથી નાસીપાસ થયા વિના સાધનાને માર્ગે આગેકૂચ ચાલુ રાખવાની છે. એ ત્રણે વસ્તુ ત્રિવેણી જેવી છે. જેનામાં એ ત્રિવેણીનો સંગમ થઈ જાય તે સાધક જીવનના આધ્યાત્મિક ઘડતરના કામમાં વહેલો મોડો જરૂર સફળ થાય છે એમાં જરાય શંકા નથી.
માતાજી કુશળ છે. હવાપાણી હાલ અનુકૂળ છે.