if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ચમત્કારોને ધર્મ અથવા ઈશ્વર સાથે કાંઈ સંબંધ ખરો ?
ઉત્તર : જે જાતના ચમત્કારોની તમે વાત કરો છો અથવા તો લોકોમાં સામાન્ય રીતે જે જાતના ચમત્કારો વિશે કહેવાય છે, તે જાતના ચમત્કારો જાદુ વિદ્યાના પ્રયોગ જેવા છે. કોઈકવાર તે ચમત્કારનું મૂળ મેલી વિદ્યામાં પણ હોય છે. એ ચમત્કારો મોટે ભાગે લોકરંજન માટે, કે ધનપ્રાપ્તિ માટે કરાતા હોય છે. એમનો આશ્રય લેનાર કોઈ ઊંચી કોટિનો આધ્યાત્મિક વિકાસ કરી ચૂક્યો હશે કે કરવા માગતો હશે, એમ ના કહી શકાય. એવા ચમત્કારોને ધર્મ, ઈશ્વર, આધ્યાત્મિકતા, કે માનવના વ્યક્તિગત વિકાસની સાથે સંબંધ ના હોય એ સહેલાઈથી સમજી શકાય તેવું છે. પરંતુ ચમત્કારોનો એક બીજો પ્રકાર પણ છે અને એને ધર્મ, ઈશ્વર, આધ્યાત્મિકતા કે માનવના વ્યક્તિગત વિકાસની સાથે સંબંધ હોઈ શકે છે.

પ્રશ્ન : એ કયો પ્રકાર છે તે વિશે સમજાવી શકશો ?
ઉત્તર : જરૂર. એ પ્રકાર વિશે સમજાવું તે પહેલાં એટલું સમજી લો કે એને ચમત્કારના બહુ ગવાયેલા, બહુ ચવાયેલા, નામથી ઓળખવાને બદલે વિશેષ શક્તિ કે સિદ્ધિના નામથી ઓળખવાનું વધારે બંધબેસતું થઈ પડશે. ચમત્કાર શબ્દના ધ્વનિમાં એક જાતની જુદી જ વ્યંજના ઊઠે છે. એ શબ્દમાં કોઈક, લોકોને આંજી નાખવા માટે કરાતા જાદુ પ્રયોગોનો ભાવ સમાયેલો છે. લોકો એ શબ્દને એ રીતે જ ઓળખે છે. પરંતુ આપણે જેની વાત કરીએ છીએ તે શક્તિ જુદી છે. આત્મોન્નતિની દિશામાં આગળ વધનારા સાધકને એની ઉપલબ્ધિ આપોઆપ અથવા તો સ્વાભાવિક રીતે જ થતી હોય છે. ફૂલમાં જેવી રીતે ફોરમ, મધમાં મધુતા, તથા સૂર્યમાં પ્રકાશ સહજ રીતે હોય છે તેવી રીતે સાધનામાં આગળ વધેલા સાધક કે સિદ્ધ પુરૂષમાં એ શક્તિનો આવિર્ભાવ કુદરતના નિયમ પ્રમાણે આપોઆપ જ થતો હોય છે.

અમુક પ્રકારના પ્રાણાયામથી, સતત ધ્યાન કે સમાધિના અભ્યાસથી, ઈશ્વરદર્શનથી અથવા તો મંત્રાનુષ્ઠાનથી એવી અસાધારણ શક્તિનો ઉદ્ ભવ થતો હોય છે. ઉદ્ ભવેલી શક્તિ ધીમે ધીમે વિકસે છે પણ ખરી. સામાન્ય લોકો એને ચમત્કારના નામથી ઓળખે છે. પરંતુ ચમત્કાર શબ્દ એને માટે બરાબર નથી. ચમત્કાર શબ્દ આધ્યાત્મિક વિકાસનો પરિચાયક નથી. માટે તેનો પ્રયોગ કરવાનું છોડી દઈને હું વિશેષ શક્તિ કે સિદ્ધિ એવા શબ્દનો પ્રયોગ કરું છું.

પ્રશ્ન : આત્મિક વિકાસને માર્ગે આગળ વધનારા પ્રત્યેક સાધકને એવી શક્તિની પ્રાપ્તિ થતી હશે ?
ઉત્તર : ઓછાવત્તા પ્રમાણમાં થતી હોય છે. કેટલીક વાર તો બહુ લાંબે વખતે પણ થતી હોય છે. છતાં પણ, શક્તિનો મોહ રાખવાને બદલે સાધકે સર્વશક્તિમાન પરમાત્માનો મોહ રાખવો જોઈએ. અને પરમાત્માના પ્રત્યક્ષ પરિચય કે સાક્ષાત્કારને માટે જ સાધના કરવી જોઈએ. જે શક્તિની પાછળ પડે છે ને સર્વશક્તિમાનને ભૂલી જાય છે તે ભૂલ કરે છે. શક્તિ કરતાં શક્તિના સ્વામી મહાન છે એ યાદ રાખવું જોઈએ. અને જીવનના ધ્યેય તરીકે શક્તિની નહીં પરંતુ તેના સ્વામીની જ પસંદગી કરવી જોઈએ. શક્તિ નહીં હોય તો ચાલશે, જીવનનું કલ્યાણ પણ કરી શકાશે. પરંતુ પરમાત્મા વિના જીવનનું સાર્થક્ય નહિ કરી શકાય.

પ્રશ્ન : સિદ્ધિઓમાં પડીને ભાન ભૂલી જવાનો કે માર્ગ ચૂકી જવાનો ભય રહે છે ખરો ?
ઉત્તર : રહે છે, પરંતુ કેવળ નબળા મનના વિષયલોલુપ સાધકોને માટે. જેમનું મનોબળ મજબૂત છે, અને ઈશ્વર વિના બીજા કોઈએ પદાર્થની લાલસા જેમના મનમાં નથી રમી રહી, તેમણે તેવો ભય રાખવાની જરૂર નથી. ના, સ્વપ્ને પણ નહીં. જેનું મનોબળ નબળું છે તે તો સિદ્ધિ નહિ મળે તો પણ, બીજી સાધારણ વાતોમાં પડીને ભાન ભૂલી જશે કે માર્ગ ચૂકી જશે. એ તો બધી જ પરિસ્થિતિમાં અસલામતિનો અનુભવ કરશે. યાદ રાખો કે ઊંચી શ્રેણીના સાધકો વિશેષ શક્તિ કે સિદ્ધિને માટે હવાતીયાં નથી મારતાં, એને આદર્શ માનીને પણ નથી ચાલતાં. પોતાના સાધના પંથમાં સહજ રીતે સાંપડતી શક્તિઓને એ અંગિકાર કરે છે. અને એ શક્તિઓ પોતાને પથભ્રાંત ના કરે એટલું આત્મબળ તો એમણે મેળવેલું જ હોય છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.