Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : સમાધિ કોને કહેવાય છે ? મનનું સમાધાન થાય અથવા તો મન સ્થિર કે એકાગ્ર થાય, તે જ સમાધિ છે કે બીજું કાંઈ ?
ઉત્તર : મનનું કોઈ રીતે સમાધાન થાય અથવા તો મન સ્થિર કે એકાગ્ર થઈ જાય, તેને જ સમાધિ ના સમજી લેતાં. સમાધિદશાની પ્રાપ્તિ એટલી સહેલી નથી. અલબત્ત, મનનું સમાધાન અને મનની સ્થિરતા અથવા એકાગ્રતા એમાં અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. છતાં પણ સમાધિ એથી આગળની અવસ્થા છે. મનને સ્થિર અથવા એકાગ્ર કરવામાં આવે છે ત્યારે ધ્યાન થયું એમ કહેવાય છે. એ સારી પેઠે સિદ્ધ થયેલા ધ્યાનનું સહજ પરિણામ છે. પરંતુ એને સમાધિ સમજવાની ભૂલ ના કરી બેસતાં. સમાધિ તો એના અનુસંધાનમાં પ્રાપ્ત થનારી એથી અનેરી જ અવસ્થા છે.

પ્રશ્ન : સમાધિની એ અવસ્થા દરમિયાન શું થાય છે ?
ઉત્તર : ધ્યાનની સાધના દ્વારા સ્થિર અથવા તો એકાગ્ર થયેલું મન એકદમ શાંત થઈ જાય છે ત્યારે સમાધિની પ્રાપ્તિ થઈ એમ કહેવાય છે. સમાધિની એ દશા દરમિયાન જુદી જુદી જાતના કેટલાય અનુભવો થાય છે. સાધકોની પ્રકૃતિ, રુચિ કે કક્ષા પ્રમાણે એ અનુભવો અલગ અલગ હોય છે એ સાચું છે. પરંતુ એ દશા દરમિયાન પ્રત્યેક સાધકની બાહ્ય દશા તો એક સરખી જ રહેતી હોય છે એટલે કે એ વખતે એ શરીરનું ભાન ભૂલી જાય છે, તથા પોતાની આજુબાજુ શું બની રહ્યું છે તેની ખબર પણ એને નથી પડતી. ઈન્દ્રિયોના વિષયોનો અનુભવ એ નથી કરી શકતો, તથા દેશ ને કાળની મર્યાદાથી પર બની જાય છે. એ દશામાં એ શાશ્વત આત્મિક સુખનો અનુભવ કરે છે. એટલે ગમે તેટલી સ્થિરતા સિદ્ધ થવા છતાં જ્યાં સુધી શરીરનું ભાન રહે છે ત્યાં સુધી સમાધિ થઈ એવું નથી કહેવાતું. સમાધિ દેહાધ્યાસથી પરની અતીન્દ્રિય દશા છે.

પ્રશ્ન : ત્યારે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે તે શું છે ?
ઉત્તર : સમાધિની જે દશામાં સૂક્ષ્મ મનની મદદથી કોઈ દેવી દર્શન થાય છે કે દેવવાણી સંભળાય છે, તે દશાને સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. તેમાં સૂક્ષ્મ મન હોય છે, કોઈ અનુભવ થતો હોય છે અને એનો રસ કે આનંદ પણ હોય છે. એથી આગળ વધીને, સમાધિની જે દશામાં સૂક્ષ્મ મન પણ શાંત થઈ જાય છે અને આત્માનુભવ બાદ કેવળ આત્મા જ રહે છે. તે અસંપ્રજ્ઞાત સમાધિની દશા છે. સમાધિના એવા બે અવસ્થાભેદ છે. તેને જ બીજી ભાષામાં સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિના નામથી ઓળખવામાં આવે છે.

પ્રશ્ન : બધી જાતની સાધનાના મૂળમાં પ્રેમ જ છે કે, બીજું કાંઈ
ઉત્તર : પ્રેમ વિના તો સાધના થઈ જ કેવી રીતે શકે ? પરમાત્માને માટેનો પ્રેમ સર્વે પ્રકારની સાધનાના મૂળમાં છે અને હોવો જોઈએ. પરમાત્મા પ્રેમસ્વરૂપ છે એટલે તેમના સાક્ષાત્કારને માટે પણ પ્રેમસ્વરૂપ થવાની જરૂર રહે છે. એ માટે જ સાધના છે.