Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેટલાક પ્રસંગો બહારથી જોતાં ઘણા નાના હોય છે, પરંતુ અંદરથી જોતા એમના આત્માનો વિચાર કરતાં, ઘણા મોટા. એવા જ એક તાજેતરમાં બનેલા પ્રસંગને અહીં ટપકાવી રહ્યો છું.

આ વખતે અમદાવાદથી દહેરાદૂન આવતી વખતે દિલ્હી સ્ટેશને ગાડી બદલવાની હોવાથી, લગભગ ત્રણેક કલાકનો વચગાળાનો વખત રહેતો હતો. એટલે સ્વાભાવિક રીતે જ, સ્ટેશન પર મને મળવા માટે આવેલ મૂળ ગુજરાતી પરંતુ વરસોથી દિલ્હીવાસી બની ગયેલા ભાઈ ગોવિંદલાલની ઈચ્છાને માન આપીને હું નવી દિલ્હીના એમના નિવાસસ્થાન પર ગયો. એમની ઘરની મોટર હતી એટલે જતાં વાર ના લાગી.

ગોવિંદલાલે ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું.

થોડીક વાતો કરી, ભોજનવિધિથી પરવારીને, અમે મસૂરી એક્સપ્રેસમાં બેસવા માટે ફરી સ્ટેશને આવ્યા ત્યારે મજૂરની પાસે મારો સામાન મૂકાવ્યા પછી તેને પૈસા ચૂકવવા માટે બંડીના અંદરના ગજવામાં હાથ ઘાલ્યો તો તેમને ભારે નવાઈ લાગી.

તે તરત જ બોલી ઊઠ્યા : 'જોયું ? બંડીનું ખીસ્સું કપાઈ ગયું છે. કોઈ ગઠિયાએ ટ્રેનના ડબામાં ચઢતી વખતે, હજી હમણાં જ ખીસ્સું કાપી નાખ્યું છે. ડબાના પ્રવેશદ્વાર પાસે બનાવટી ભીડનો દેખાવ કરીને ધક્કામુક્કી કરતો એક ગઠિયો ઉભેલો. તેને જોતાં જ મને થયેલું કે આ ફર્સ્ટ કલાસનો પેસેન્જર નથી. એણે જ આ કામ કરેલું છે. પરંતુ ઈશ્વરની કૃપા તો જુઓ. એ કેટલો કૃપાળુ છે કે ખિસ્સું કપાયું છે છતાં પૈસા એમને એમ જ રહ્યા છે. નોટો નીચે નથી પડી. બધી જ નોટો બચી ગઈ છે. ઈશ્વર જેને બચાવવા ધારે છે તેને કેવું અજબ રીતે બચાવે છે !’

મજૂરને આપવા માટે એમણે બંડીના ખીસ્સામાંથી નોટો કાઢી, પરંતુ બધી જ નોટો કપાયેલી હતી. દરેક નોટ ઉપર અને નીચે થઈ ને ચાર ઠેકાણે કપાયેલી. હવે શું થાય ?

મજૂરને મેં પૈસા ચૂકવી આપ્યા ને પછી ગોવિંદલાલને ઉદ્દેશીને કહ્યું : 'નોટો તો બધી કપાઈ ગઈ છે. આ નોટો કામ લાગશે ?’

તેમણે તરત કહ્યું : 'કામ તો લાગશે જ. અને ધારો કે કામ ના લાગે તો પણ શું ? ઈશ્વર પૂરતા પૈસા આપે છે. પૈસાની કશી જ ચિંતા જ નથી. આમાં પણ હું તો ઈશ્વરની કૃપાનું દર્શન જ કરું છું. જીવનમાં મને પૈસાની ભૂખ નથી. શાંતિની-ઈશ્વરની કૃપાની જ ભૂખ છે. નોટો કપાઈ છે તો પણ પૂરી નથી કપાઈ, થોડીક જ કપાઈ છે. હજી પણ ચાલે તેમ છે, એ પણ ઈશ્વરની છે ને ?’

મને એમની સમજ માટે માન ઉપજ્યું.

ટ્રેન ઉપડી અને અમે છૂટા પડાયા.

મારી અને એમની આ પહેલી જ મુલાકાત હતી પણ તે યાદગાર બની ગઈ.

મને થયું કે જીવનના પ્રત્યેક પ્રસંગમાં ઈશ્વરકૃપાનું દર્શન કરવાની આવી જીવનદૃષ્ટિ જો સૌ કોઈ કેળવે તો કેટલી ચિંતા શમી જાય ? કેટલાં દુઃખો ટળી જાય, ને કેટલો લાભ થાય ? સંસારના વિરોધાભાસી અટપટી, વાતાવરણમાં રહીને પણ જો માણસ આવી વૃત્તિ કેળવે તો ઘણું કામ થઈ જાય. એવી દૃષ્ટિ ને વૃત્તિ કેળવી શકાય છે એની ના નહીં. તો જીવનમાં દ્વંદ્વો માણસને હેરાન ના કરી શકે. એ કદી પણ અને કોઈયે સંજોગોમાં વિચલિત ન બને.

એ દૃષ્ટિએ જોતાં આ પ્રસંગની મહત્તા ઘણી મોટી છે.

- શ્રી યોગેશ્વરજી