Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
દિવાળી ને અન્નકૂટના ઉત્સવમાં તું ઉત્સાહ સાથે સામેલ થાય છે, ને ભાતભાતનાં ભોજનનો આનંદ માણે છે; પણ તારી પાસેના જ મકાનમાં, મહોલ્લામાં ને મારગ પર અન્ન વિના બેચેન બનતા ને ભૂખ્યા માણસ, જીવી રહ્યાં છે, તેની તને ખબર છે? તારા ભોજનના થાળને અડકતાં પહેલા તેમને માટે પણ બનતો હિસ્સો અલગ કર, ને તારા અન્નકૂટના અન્નને તેમની પાસે પણ પહોંચતું કર.

દિવાળી ને અન્નકૂટ ને બીજા ઉત્સવમાં તું ઉત્સાહ સાથે શામેલ થાય છે, ને ભાતભાતનાં કપડાં સાથે શરીરની સજાવટ કરીને ફરે છે. પણ તારી પાસેના જ મકાનમાં, મહોલ્લામાં ને મારગ પર શરમને જેમ તેમ કરીને સાચવતાં વસ્ત્રોવાળાં ને વસ્ત્રો વિનાનાં માણસો જીવી રહ્યાં છે. તારા શરીરને સજાવતી વખતે તેમનો પણ વિચાર કર, ને એકાદ વસ્ત્રને તેમની પાસે પણ પહોંચતું કર.

અનાથ ને અપંગ તથા પછાત ને પીડિતની પરિચર્યા કરીને તારા તહેવાર ને સમગ્ર જીવનનો ઉત્સવ કર. સૌમાં રહેલા પ્રભુના પ્રકાશનું દર્શન કરીને સૌને મદદરૂપ થઈને જીવનનો ઉત્સવ કર.

- શ્રી યોગેશ્વરજી