Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આ પૃથ્વીમાં તું પ્રેમ કરવા આવ્યો છે એ વાતને સદાયે યાદ રાખી લે; તો વેર ને ધિક્કાર તારા દિલમાંથી કાયમને માટે દૂર થઈ જશે. હે સાધક, સહેલાઈથી દૂર થઈ જશે.

આ અવનીને તું વધારે ને વધારે અમૃતમય કરવા આવ્યો છે એ વાતને યાદ રાખી લે; તો વિષ તારા જીવનમાંથી સદાને માટે દૂર થઈ જશે. હે સાધક, સહેલાઈથી દૂર થઈ જશે.

આ પૃથ્વીમાં તું મુક્ત થવા ને મુક્ત કરવા આવ્યો છે એ વાતને સદાય યાદ રાખી લે, તો તારા ને બીજાનાં બંધન સદાને માટે ને સહેલાઈથી દૂર કરી શકાશે ને સૃષ્ટિને માટે આશીર્વાદરૂપ થઈ શકશે. હે સાધક, આશીર્વાદરૂપ થઈ શકશે.

સૃષ્ટિનું આ ઉત્તમ ઉપવન છે ને તેમાં તું કુસુમની કળી થઈને પ્રકટ થયો છે. એ વાતને યાદ રાખ તો હવે એ કળીમાંથી ફૂલ જ બને ને ફૂલ જ ખીલે એ વાતને સહેલાઈથી સમજી શકશે. હે સાધક, સદાને માટે ને સહેલાઈથી સમજી શકશે.

માટે જ કહું છું કે તારા તન, મન ને અંતરને સુવાસિત ને સ્વાદમય થવા દે, ને એમાંથી એવી તો ફોરમ ફેલાવા દે કે સૃષ્ટિ વધારે ને વધારે સુવાસિત બને ને નરકની અંદર પણ સ્વર્ગનો અનેરો આનંદ ઉતરવા માંડે.

- શ્રી યોગેશ્વરજી