વચ્ચેના દિવસો સઘળાયે વહી વેગથી જાય,
કાળ દોટ મૂકે ને અંતે મિલન આપણું થાય.
આંખ મળે આંખે ને વાતો અંતરમાંથી થાય,
થાય એકતા આનંદમહીં અંગાંગ પછી નહાય.
કેટકેટલા દિનના ભાવો ભર્યા ઉમળકા તેમ,
ઠાલવીએ ને ભરી દઈએ બંને ‘પાગલ’ જેમ;
ઊર્મિની માળા ગૂંથેલી ભલે સમર્પિત થાય,
કાળ ક્યાંય દોડે ને મારું ભાગ્ય બધું પલટાય.
અખંડ રસના ઉડે ફુવારા, મળે શાંતિનો સ્વાદ,
તમારા વિના મનમાં કોઈ રહે અન્ય ના નાદ;
અખંડ વાજાં વાગે તેમજ મંગલ ઉત્સવ થાય,
છૂટાં પડ્યાં હૃદય બે અંતે મળતાવેંત સમાય.
(૨૧-૮-૧૯૫૭, બુધવાર)
– © શ્રી યોગેશ્વરજી