અમે સ્વૈરવિહાર રહેલા કરી,
મારગમાં ગયું મોતી મળી.
અમે વડલે વિમાસો કરતા હતા,
આહ ઉની ઉની જરી ભરતા હતા,
ત્યાં સ્વર્ગીય વહી શી લહરી ... મારગમાં ગયું મોતી મળી.
અમે વનમાં વનસ્થલીને પામ્યા,
સંતાપ અમારા સૌ શામ્યા,
પ્રાણ રહ્યો જાડય સમસ્ત હરી ... મારગમાં ગયું મોતી મળી.
અમે મરુભોમે પૂજારી શા,
તમે પ્રેમ કરી એમાં પ્રકટ્યાં,
મંદિર સર્જાયું મૂર્તિ વરી ... મારગમાં ગયું મોતી મળી.
અમે શોધી રહેલા વરસોથી,
તે પામ્યા અમૃત લોકોથી,
હવે ફરવાનું ના રહ્યું ફરી ... મારગમાં ગયું મોતી મળી.
અમે એને ના છોડીશું હવે,
દળદર ફેડીશું બધું ભવે,
આશા નૈરાશ્યે આજ ફળી ...મારગમાં ગયું મોતી મળી.
- શ્રી યોગેશ્વરજી

