Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ચોથો પ્રશ્ન પૂરો થયા પછી શિબિપુત્ર સત્યકામનો વારો આવ્યો. તેણે મહર્ષિ પિપ્પલાદને પૂછ્યું : ‘હે ભગવન્, જે મરણપર્યંત ॐકારનું ધ્યાન કરે છે તે તેના પ્રભાવથી કયા લોકને મેળવે છે ?’

એ પ્રશ્નનો ઉત્તર ઋષિએ ખૂબ જ સંક્ષેપમાં આપ્યો છે. તે કહે છે કે જે માણસ अ એવી એક માત્રાવાળા ॐની ઉપાસના કરે છે, તે તેના પ્રભાવથી જ્ઞાન મેળવે છે ને પૃથ્વી પર ફરી જન્મે છે. ઋગ્વેદની ઋચાઓ તેને મનુષ્યલોકમાં લઈ જાય છે. તે ત્યાં તપ, બ્રહ્મચર્ય ને શ્રદ્ધાથી સંપન્ન થાય છે.

જો કોઈ अ ને उ એવી બે માત્રાવાળા ॐકારની ઉપાસના કરે છે તો તે અંતરીક્ષમાં રહેલા ચંદ્રલોકમાં જાય છે. ત્યાં વૈભવી થઈને પાછો જન્મે છે.

જે મનુષ્ય अ, उ ને म् એ ત્રણ માત્રાવાળા ॐકાર વડે પરમ પુરૂષનું ધ્યાન કરે છે તે તેજોમય સૂર્યલોકને મેળવે છે. સાપ કાંચળીથી મુક્ત થાય તેમ તે પાપથી છૂટે છે ને સામવેદના મંત્રોની મદદથી બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં તે પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. શાંત, અજર અમર, અભય ને સૌથી પર પરમાત્માને સાધક ॐકારની મદદથી જ મેળવે છે.

આ પ્રમાણે મહર્ષિએ ॐકારની વિવિધ માત્રાની તથા તે સૌના સમન્વય સાથેના ॐકારની ઉપાસનાનુ બેવડું ફળ બતાવ્યું છે.