હું તમારા વિના રહી શકતો નથી તેમ તમે પણ મારા વિના રહી શકો નહિ -
મારા વિના તમને ચેન પડે નહિ, એવી પરિસ્થિતિની મારી માગણી છે.
એવી દશાની હું તમારી પાસેથી આશા રાખું છું.
હું તમારે માટે પ્રેમનાં આંસુ સારી રહ્યો છું ને વિરહની વેદનાનો અનુભવ કરી રહ્યો છું
તેમ તમે મારે માટે પણ આંસુ સારો, ને વિરહની વ્યથાનો અનુભવ કરી લો, એ જ મારી ઈચ્છા છે.
તમારા વિના જીવનમાં સાર દેખાતો નથી ને રસ લાગતો નથી
તેમ મારા વિના તમને સાર ના લાગે ને જીવનમાં રસ ના જાગે, એ જ મારી ઈચ્છા છે.
મારા વિના જીવન કડવું લાગે એ જ મારી ઈચ્છા છે.
આપણા મિલનનું મંદિર તો જ સર્વોત્તમ બની શકશે.
બન્ને બાજુના સરખા સ્વરો આપણા જીવનને મુગ્ધ કરીને અનેરા આનંદથી ભરી દેશે.
- શ્રી યોગેશ્વરજી