પર્વને દિવસે વિશાળ રથમાં બેસીને પ્રવાસ કરતાં એક અનેરો અનુભવ થયો.
રથમાં મારી આજુબાજુ અનેક લોકો બેઠા હતા.
કોઈ મારો ઉપદેશ સાંભળતા, કોઈ મારી પ્રશસ્તિ કરતા,
તો કોઈ મારા સ્વરૂપને નિહાળવામાં મશગુલ બનતા.
એ વખતે તમે મારી સામે બેસીને મારા દર્શનનો દૈવી આનંદ લુંટતા હતાં.
યજ્ઞની વેદીમાં જેમ આહુતિ પર આહુતિ આપવામાં આવે
તેમ મારા ચરણ પર તમે પુષ્પોની પાંખડી વરસાવ્યે જતાં હતાં.
તમારું હૃદય તેમાં જાણે કે ઢળી રહ્યું હતું.
એ વખતના તમારા ભાવવિભોર મુખનું વર્ણન કેમ કરીને કરી બતાવું ?
તમારી અમૃતમય આંખોના રસનું પાન કરતાં કરતાં
હું તમારી પૂજાનો સપ્રેમ સ્વીકાર કરતો હતો.
એમ ને એમ મારો આખોયે પ્રવાસ પૂરો થઈ ગયો.
જતી વખતે મેં તમારા શરીર પર હાથ ફેરવ્યો
ત્યારે અચાનક થયેલી એ કૃપાવૃષ્ટિથી સૌને નવાઈ લાગી
પણ આપણને ને અંતર્યામી ઈશ્વરને ખબર હતી
કે કૃપાનો સાચો અધિકાર બીજા કરતાં એક તમારો જ વધારે હતો.
- શ્રી યોગેશ્વરજી

