युञ्जते मन उत युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चितः ।
वि होत्रा दधे वयुनाविदेक इन्मही देवस्य सवितुः परिष्टुतिः ॥४॥
yunjate mana uta yunjate dhiyo
vipra viprasya brhato vipascitah ।
vi hotra dadhe vayunavideka
inmahi devasya savituh paristutih ॥ 4॥
બ્રાહ્મણ જેવા શ્રેષ્ઠ જનોયે જેમાં ચિત્ત લગાવે છે,
બુદ્ધિ લગાવે, અગ્નિહોત્રશાં શુભ કર્મો જે સ્થાપે છે;
જગના મનને જાણે છે જે, અદ્વિતીય જે એક જ છે,
સર્વથકી છે મહાન, વ્યાપક, જે સર્વજ્ઞ ખરેખર છે;
તે સૌના ઉત્પાદક એવા પરમાત્માની સ્તુતિ કરવી,
નક્કી એવા પરમાત્માની સૌએ ખૂબ જ સ્તુતિ કરવી. ॥૪॥
અર્થઃ
વિપ્રાઃ - બ્રાહ્મણો વગેરે (જેમની અંદર)
મનઃ - મનને
યુંજતે - જોડે છે.
ઉત - અને
ધિયઃ - બુદ્ધિની વૃતિઓને
યુંજતે - જોડે છે.
હોત્રાઃ વિદધે - (જેમણે સઘળાં) અગ્નિહોત્ર જેવાં શુભ કર્મોનું વિધાન કર્યું છે. (તથા જે)
વયુનાવિત્ - સંસારમાં સૌના વિચારોને જાણે છે.
એકઃ - એક છે.
બૃહતઃ - સૌથી મહાન
વિપ્રસ્ય - સર્વવ્યાપક
વિપશ્ચિતઃ - સર્વજ્ઞ
સવિતુઃ - સૌના ઉત્પન્ન કરનારા
દેવસ્ય - દેવોના દેવ પરમાત્માની
ઇત્ - ખરેખર
મહી - મહાન
પરિષ્ટુતિઃ - સ્તુતિ (કરવી જોઇએ).
ભાવાર્થઃ
સંસારમાં પરમાત્મા સિવાય પ્રશસ્તિ કરવા યોગ્ય બીજું છે જ કોણ ? પરમાત્મા જ પ્રશસ્તિપાત્ર છે. એમની જ સર્વપ્રકારે સ્તુતિ કરવી જોઇએ. એમની સ્તુતિથી જ જીવનનું શ્રેય સધાય છે, ને શાંતિ મળે છે. એમના અસાધારણ અનંત અનુગ્રહનો અનુભવ થાય છે. એ સર્વવ્યાપક, સર્વજ્ઞ, સૌના સર્જક, સ્વામી, સર્વોત્તમ છે. એમણે અગ્નિહોત્રાદિ ઉત્તમ કર્મોનું વિધાન કર્યું છે. સાધકો, સત્પુરુષો અને ઉપાસકો એમની અંદર મનને અને બુદ્ધિને જોડે છે. એમનું વિસ્મરણ કરીને દુન્યવી પરિવર્તનશીલ પદાર્થોમાં આસક્ત થવાથી જ જીવ દુઃખી થયો છે. પરમાત્માની સંપ્રાપ્તિ જ એને સુખી કરી શકે એમ છે. તેને માટે એમની પ્રાર્થના, પ્રશસ્તિ કે સ્તુતિનો ઉપાય અમોઘ છે.

