पृथिव्यप्तेजोऽनिलखे समुत्थिते पञ्चात्मके योगगुणे प्रवृत्ते ।
न तस्य रोगो न जरा न मृत्युः प्राप्तस्य योगाग्निमयं शरीरम् ॥१२॥
prthivyaptejo'nilakhe samutthite
panchatmake yogagune pravrtte ।
na tasya rogo na jara na mrtyuh
praptasya yogagnimayam sariram ॥ 12॥
યોગી જ્યારે પૃથ્વી જેવાં પંચભૂતનો કાબુ કરે,
પંચભૂતથી જોડાયેલી પાંચ સિદ્ધિથી સિદ્ધ બને,
યોગાગ્નિમય દેહપ્રાપ્ત તે યોગીને ના રોગ રહે,
જરામૃત્યુ ના આવે તેને, ઈચ્છાપૂર્વક તે જીવે. ॥૧૨॥
અર્થઃ
પૃથિવ્યપ્તેજાઙનિલખે સમુત્થિતે - પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ - પાંચે મહાભૂતોનું સારી રીતે ઉત્થાન થતાં (તથા)
પંચાત્મકે યોગગુણે પ્રવૃતે - એમની સાથે સાથે સંબંધ રાખનારા પાંચ પ્રકારના યોગગુણોની સિદ્ધિ સધાતાં
યોગાગ્નિમયમ્ - યોગાગ્નિમય
શરીરમ્ - શરીરને
પ્રાપ્તસ્ય - પ્રાપ્ત કરનારા
તસ્ય - એ યોગીને
ન રોગઃ - રોગ થતો નથી.
ન જરા - વૃદ્ધાવસ્થા આવતી નથી.
ન મૃત્યુઃ - મૃત્યુ આવતું નથી.
ભાવાર્થઃ
ધ્યાનયોગની અદભૂત અલૌકિક અંતરંગ આત્મવિકાસની સાધનાથી સાધક સિદ્ધિના કેવા સર્વોચ્ચ સુમેરુ શિખર પર પહોંચી શકે છે તેનું સાધારણ સરખું છતાં પણ સુંદર સારગર્ભિત સૂચન આ શ્ર્લોકમાં કરવામાં આવ્યું છે. એ રીતે વિચારતાં આ શ્ર્લોક ખાસ મનનીય છે. યોગના સાધકો અને સિદ્ધોને માટે પણ પ્રેરક છે. ધ્યાનયોગના અખંડ એકધારા અભ્યાસથી પંચમહાભૂતોનું ઉત્થાન થાય છે અથવા પંચમહાભૂતો પર પરિપૂર્ણ પ્રભુત્વ સ્થપાય છે ત્યારે એમની સાથે સંબંધ રાખનારી પાંચ અસાધારણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. યોગીનું શરીર યોગસાધનારૂપી અગ્નિથી પ્રદીપ્ત અને નિર્મળ બની જાય છે. અલૌકિકતા ધારણ કરે છે. એવો યોગીને વ્યાઘિ, વૃદ્ધાવસ્થા કે મૃત્યુની અસર નથી થતી. એ કાયમને માટે રોગરહિત બની જાય છે. અખંડ શાશ્વત યૌવનથી સંપન્ન બને છે, અને ઇચ્છાનુસાર દેહને ધારણ કરી શકે છે. મૃત્યુ કે કાળનો પ્રભાવ એના પર નથી પડતો. એ મૃત્યુનો સ્વામી બનીને શાશ્વત જીવનનો અનુભવ કરે છે.

