Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

स एव काले भुवनस्य गोप्ता विश्वाधिपः सर्वभूतेषु गूढः ।
यस्मिन् युक्ता ब्रह्मर्षयो देवताश्च तमेवं ज्ञात्वा मृत्युपाशांश्छिनत्ति ॥१५॥

sa eva kale bhuvanasya gopta
visvadhipah sarvabhutesu gudhah ।
yasmin yukta brahmarsayo devatascha
tamevam jnatva mrtyupasamschhinatti ॥ 15॥

સમસ્ત જગને તે રક્ષે છે, જગના તે પ્રભુ સ્વામી છે,
સર્વજીવમાં વાસ કરે છે, તેણે સૃષ્ટિ ધારી છે;
દેવ મહર્ષિ સૌ તે પ્રભુમાં ધ્યાન કરીને લીન બને,
તે પ્રભુને જાણીને માનવ મૃત્યુબંધને કાપી લે. ॥૧૫॥

અર્થઃ

સઃ એવ - એ જ
કાલે - સમય પર
ભુવનસ્ય ગોપ્તા - સમસ્ત સૃષ્ટિના સંરક્ષક
વિશ્વાધિપઃ - જગતના અધીશ્વર
સર્વભૂતેષુ - સર્વે જીવોમાં
ગૂઢઃ - છૂપાયેલા છે.
યસ્મિન્ - જેમાં
બ્રહ્મર્ષયાઃ - વેદવેત્તા મહર્ષિઓ
ચ - અને
દેવતાઃ - દેવો
યુક્તાઃ - જોડાયેલા છે.
તમ્ - તે પરમાત્માને
એવમ્ - આવી રીતે
જ્ઞાત્વા - જાણીને
મૃત્યુપાશાન્ - મૃત્યુના બંધનોને
છિનત્તિ - છેદી નાખે છે.

ભાવાર્થઃ

આ શ્લોક પણ પરમાત્માના સાક્ષાત્કારની ફળશ્રુતિ જેવો છે. પરમાત્માના સાક્ષાત્કારનું પરિણામ કેટલું સુંદર અને ઉત્તમ આવે છે તે બતાવતાં ઋષિ જણાવે છે કે એથી અમૃતમય બનાય છે અથવા મૃત્યુના બંધનોમાંથી મુક્ત થવાય છે. જીવન સર્વપ્રકારે ને સંપૂર્ણપણે ધન્ય બને છે. જીવનની પરમ ધન્યતાનો એના સિવાય બીજો કોઇ માર્ગ જ નથી. એ પરમાત્મા સમસ્ત સૃષ્ટિના સ્વામી, સૂત્રધાર કે સંરક્ષક છે. સૌની અંદર રહેલા છે અથવા સર્વવ્યાપક છે. મોટામોટા મુનિ, મહર્ષિ અને તપસ્વીઓએ એમની સાથે પવિત્ર શ્રદ્ધાભક્તિ, જ્ઞાન, ધ્યાનાદિ સાધનાની મદદથી પોતાનો સંબંધ બાંધ્યો છે. એ સંબંધ એમને માટે કલ્યાણકારક થયો છે. સૌએ એવો સંબંધ બાંધવો જોઇએ.