Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सङ्कल्पनस्पर्शनदृष्टिमोहैर्ग्रासांबुवृष्ट्यात्मविवृद्धिजन्म ।
कर्मानुगान्यनुक्रमेण देही स्थानेषु रूपाण्यभिसम्प्रपद्यते ॥११॥

sankalpanasparsanadrstimohai-
rgrasambuvrstyatmavivrddhijanma ।
karmanuganyanukramena dehi
sthanesu rupanyabhisamprapadyate ॥ 11॥

જુદીજુદી રીતે જીવોનાં જન્મ ને પોષણ
વિચાર તેમજ સ્પર્શ, દૃષ્ટિ ને મોહ, અન્નજલ ને વૃષ્ટિ,
તે સર્વેથી થઈ જાય છે સજીવ દેહોની વૃદ્ધિ;
વિચાર, સ્પર્શ અને દૃષ્ટિથી નરનારી સહવાસ કરે,
જીવ ગર્ભમાં આવે તેથી, ભોજનજલથી પુષ્ટ બને.

અથવા જુદી જુદી રીતે પોષણ થાયે જીવોનાં :
સંકલ્પથકી વધે કાચબાયોનિમાં જનમ્યાં ઈંડાં,
આસક્તિથકી દેખે તેથી વધે માછલીનાં બચ્ચાં,
અન્ન અને જલથી જલ ને પશુયોનિમાં વધે સૌ જન્મ્યાં;
વૃષ્ટિમાત્રથી વધ્યે જાય છે વૃક્ષ, લતા ને ઔષધિ સૌ,
અનેક રીતે આમ જગતમાં પોષણ પામે પ્રાણી સૌ.

જીવાત્માનો યોનિસંબંધ
કર્મ પ્રમાણે જીવ તે બધી યોનિ ક્રમેક્રમ પામે છે,
જૂદાંજૂદાં શરીરને તે કર્મ પ્રમાણે ધારે છે. ॥૧૧॥

અર્થઃ

સંકલ્પનસ્પર્શનદૃષ્ટિમોહૈઃ - સંકલ્પ, સ્પર્શ, દૃષ્ટિ અને મોહથી
ચ - અને
ગ્રાસામ્બુવૃષ્ટ્યા - ભોજન, જલપાન તથા વર્ષા દ્વારા
આત્મવિવૃદ્ધિજન્મ - સજીવ શરીરની વૃદ્ધિ અને ઉત્પત્તિ થાય છે.
દેહી - જીવાત્મા
સ્થાનેષુ - જુદાજુદા લોકોમાં
કર્માનુગાનિ - કર્માનુસાર મળનારાં
રૂપાણિ - જુદાજુદા શરીરોને
અનુક્રમેણ - ક્રમપૂર્વક
અભિસંપ્રપદ્યતે - વારંવાર પામ્યા કરે છે.

ભાવાર્થઃ

સંકલ્પ, સ્પર્શ, દૃષ્ટિ, મોહ, ભોજન, જલપાન તથા વૃષ્ટિ - એ સઘળાથી સજીવ શરીરની ઉત્પત્તિ તથા વૃદ્ધિ થાય છે. સ્ત્રીપુરુષના સ્નેહ અને સંમોહજન્ય સંકલ્પવિકલ્પ, સ્પર્શ, દૃષ્ટિપાત અને સહવાસ દ્વારા સંતાનોત્પત્તિ થાય છે એ દેખીતું છે. ભોજનના રસ, માતાના પયપાન તથા પાણીને લીધે શરીરની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. બીજો ભાવાર્થ એવો પણ છે કે જુદી જુદી યોનિમાં પ્રાણીઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ જુદી જુદી રીતે થાય છે. કાચબાના ઇંડાનું પોષણ સંકલ્પ દ્વારા જ થતું હોય છે. પક્ષીઓનાં ઇંડાનું પાલનપોષણ આસક્તિપૂર્વકના સ્પર્શથી થાય છે. માછલી જેવી યોનિઓમાં આસક્તિપૂર્વક દર્શન માત્રથી થાય છે. મનુષ્યયોનિમાં શરીરની વૃદ્ધિ અન્ન અને જલથી થતી હોય છે. વૃક્ષ, લતા, ઘાસ, અણસલાં જેવાં જીવો અને અન્ય યોનિમાં ઉત્પત્તિ અને અભિવૃદ્ધિનું મુખ્ય પ્રેરક બળ વરસાદ હોય છે. જીવાત્મા કર્મ સંસ્કારોને અનુસરીને જુદીજુદી રીતે જુદી જુદી યોનિઓમાં પ્રવેશે છે અને નિર્ધારિત ક્રમ પ્રમાણે જુદાં જુદાં શરીરોની પ્રાપ્તિ કરે છે.