અરે મારા પાગલ પ્રાણ ! પામરતાનો પરિત્યાગ કરીને તારા પ્રિયતમને નેહભરી નજરથી નિરખી તો લે ! આવો અમુલખ અવસર ક્યારે મળવાનો હતો ? પ્રિયતમને પેખી તો લે !
અરે મારી આળસથી અંજાયેલી આંખ ! આળસનો અંત આણીને, અમૃતનું અંજન આંજીને પ્રિયતમને પેખી તો લે ! આવો અમુલખ અવસર ફરી ક્યારે મળવાનો હતો ? પ્રિયતમને જરા દેખી તો લે !
અરે મારા રાગરહિત હૃદય ! રાગથી રંગાઈને ને રસિક બનીને તારી પદ્મપાંખડી પર તારા પ્રિયતમની પ્રતિષ્ઠા તો કરી લે ! આવો અમુલખ અવસર ફરી ક્યારે મળવાનો હતો ? પ્રાણાધારની પ્રતિષ્ઠા તો કરી લે !
અરે મારા સુસ્ત શરીર ! સુસ્તીને છોડીને એ તારી રાહ જોતો, તને આશ્લેષ આપવા માગતો હાથ ફેલાવીને ઊભો છે; ત્યારે એને આશ્લેષ તો આપી લે ! આવો અમુલખ અવસર ફરી ક્યારે મળવાનો હતો ? એને કંઠે કુસુમ કરતાંયે કોમલ એવી માળા તો કરી દે !
અરે મારા જડ જીવન ! તારું બધું જ એને ચરણે ધરી દે. તું એનું જ બની લે. આવો અમુલખ અવસર ફરી ક્યારે મળવાનો હતો ?
(૨૯-૩-૧૯૬૦, મંગળવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

