આ જીવનને હું પ્રેમ કરું છું. પરિપૂર્ણપણે પ્રેમ કરું છું.
કેટલાક એવા છે જે એની સાથે છૂટાછેડા લે છે. એને બધી જ બુરાઈનું મૂળ માનીને નિંદે છે, તિરસ્કારે છે. મારાથી એમ નથી બની શકે તેમ. હું તો તેને ચાહું છું : તેની બધી જ ખૂબી, તેનાં બધાં જ રહસ્યમય રૂપો, તેની લાક્ષણિકતાની સાથે તેને પ્રેમ કરું છું.
આ જીવનને હું પ્રેમ કરું છું. એની આગળ સ્વર્ગ કે વૈકુંઠને પણ ક્ષુલ્લક ગણું છું.
માટે જ એને ઉત્તમોત્તમ બનાવવા, સુશોભિત કરવા, સૌરભથી સુવાસિત કરી દેવા, મહેનત કરું છું. ને કહું છું કે મહીમંડળના મહાન પ્રતિનિધિઓ, આવો, જીવનને ને જગતને મધુમય ને મહિમાવંતું બનાવવા માટેની મહેનત કરવા આવો !
(૨૩-૪-૧૯૬૦, શનિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

