કેટલીક કલાત્મક, કોમળ, કમનીય કલ્યાણકારક છે તારી કવિતા ! વિરાટ વિશ્વના રૂપમાં જે તારી કાવ્યાત્મક કૃતિ, અથવા તો તત્ત્વવેત્તાઓ કહે છે તેમ, તારા અંતરની આકૃતિ અથવા આવૃત્તિ રજૂ થઈ છે, તે કેટલી બધી સરસ, સનાતન, સર્વાંગસુંદર છે ! એમાં કવિતાના નવ રસ કરતાંયે વધારે રસ છે. જેમજેમ જોતાં શીખું છું તેમતેમ, તારી કૃતિની કઠોરતા કે કરાલતાનો પણ મને પરિચય થાય છે.
મારે એ જ કહેવાનું છે કે તારી આ વિરાટ વિશ્વકવિતાને વધારે કમનીય કે કલ્યાણકારક કરી શકું તે માટે મને તારી મહાન કવિતા કરી દે : મારા રોમરોમમાં પૃથ્વીનો પ્રેમ, સૃષ્ટિની શાંતિ, જગતના જીવનની જડીબુટ્ટી ભરી દે : મારી અંદર તું પોતે જ પ્રકટ થઈને સંસારમાં સનાતન સુખાકારી ને શાંતિસ્થાપનાના તારા કલ્યાણકારક કામને પૂરું કરી લે ! તારી વિરાટ વિશ્વકવિતાની ખૂટતી કડીરૂપે તું મારો - મારા જરી જેટલા જીવનનો ભલે ઉપયોગ કરી લે !
(૧૦-૬-૧૯૬૦, શુક્રવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)