ગમે તેવા દુઃખ, દર્દ, પ્રતિકૂળ વાતાવરણની વચ્ચે પણ સુખ, શાંતિ, સાનુકૂળતાના જ આલાપોને વહેતા મૂકીશ.
ગમે તેવી નિરાશા કે કટોકટીના કાળમાં પણ આશાનાં અમર ગીતને ગાવાનું ચાલુ રાખીશ, સ્મિતને ના ત્યાગીશ.
ચારેકોર ઘોર અંધકાર ફરી વળ્યો હોય, માર્ગ ના મળતો હોય, કોઈનોય સહારો ના જડતો હોય, તોપણ હિંમત હાર્યા વિના, ધીરજ ટાળ્યા વિના, પ્રકાશના પાવન પંથે પ્રવાસ કરવાનું ચાલુ રાખીશ.
કેમકે જીવનમાં હું બે વાતોને શીખી શક્યો છું : દુઃખ, અશાંતિ અને બંધન નહિ પણ સુખ, શાંતિ ને મુક્તિ જ સનાતન છે. આખરે એનો જ, વિજય થવાનો છે; અસત્ય અને અશુભ તો વચગાળાની વિકૃતિ માત્ર છે, સનાતન નથી.
(૧૨-૬-૧૯૬૦, રવિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

