{slide=Dialogue between Yaksha and Yudhisthir - I}
Yaksha asked a number of questions to Yudhisthir on variety of topics. Yudhisthir replied to all of them to Yaksha's satisfaction. The dialogue between Yaksha and Yudhisthir became very famous. Here is some of the Q and A:
Q: Who is heavier than the earth ? A. Mother
Q: Who is higher than the sky? A. Father
Q: Whose speed is faster than the air ? A. Mind
Q: Which is the best kind of wealth ? A. Knowledge
Q: What gives the greatest advantage ? A. Good health
{/slide}
એવી રીતે યક્ષ તથા યુધિષ્ઠિરનો સંવાદ શરૂ થયો.
એનો સારાંશ આ પ્રમાણે છે.
યક્ષ : આદિત્યને કોણ ઉદિત કરે છે ? એના આસપાસ કોણ છે ? એને કોણ અસ્ત પમાડે છે ? એ શામાં પ્રતિષ્ઠિત રહે છે ?
યુધિષ્ઠિર : આદિત્યને બ્રહ્મ ઊંચે ઉદિત કરે છે. દેવો તેના સહાયકર્તા સાથીઓ છે. ધર્મ તેને અસ્ત પમાડે છે. અને સત્યના આધારે તે પ્રતિષ્ઠિત રહે છે.
યક્ષ : શાનાથી મનુષ્ય શ્રોત્રિય થાય છે ? શાનાથી તેને મહત્પ્રાપ્તિ થાય છે ? શાથી તે સહાયવાન થાય છે ? અને શાથી તે બુદ્ધિમાન બને છે ?
યુધિષ્ઠિર : વેદાધ્યાનથી મનુષ્ય શ્રોત્રિય થાય છે; તપથી તેને મહત્પ્રાપ્તિ થાય છે; ધૃતિથી તે સહાયવાન થાય છે અને વૃદ્ધોની સેવાથી બુદ્ધિમાન બને છે.
યક્ષ : બ્રાહ્મણોનું દેવત્વ શું છે ? તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ શો છે ? તેમનામાં મનુષ્યભાવ શો છે ? અને તેમનામાં દુર્જનોના જેવું આચરણ શું છે ?
યુધિષ્ઠિર : વેદોનો સ્વાધ્યાય એ બ્રહ્મણોનું દેવત્વ છે. તપસ્યા તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ છે. મરણ તેમનામાં મનુષ્યભાવ છે, અને નિંદા તેમનામાં દુર્જનોના જેવું આચરણ છે.
યક્ષ : ક્ષત્રિયોમાં દેવત્વ શું છે ? તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ કયો છે ? તેમનામાં મનુષ્યભાવ શો છે ? અને તેમનામાં દુર્જનોના જેવું આચરણ શું છે ?
યુધિષ્ઠિર : બાણ અને અસ્ત્રોનું ધારણ એ ક્ષત્રિયોમાં દેવત્વ છે. યજ્ઞ એ તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ છે. ભય તેમનામાં મનુષ્યભાવ છે અને શરણાગતનો ત્યાગ કરવો એ તેમનામાં દુર્જનોના જેવું આચરણ છે.
યક્ષ : આવપન (વાવણી) કરનારાઓને શી વસ્તુ શ્રેષ્ઠ છે ? નિવાપન (રોપણી) કરનારાઓને શી વસ્તુ ઉત્તમ છે ? પ્રતચિષ્ઠા ઇચ્છનારાઓને કઇ વસ્તુ શ્રેષ્ઠ છે ? અને પ્રજોત્પાદન કરનારાઓને કંઇ વસ્તુ ઉત્તમ છે ?
યુધિષ્ઠિર : આવપન કરનારાઓને વૃષ્ટિ શ્રેષ્ઠ છે; નિવાપન કરનારાઓને પુત્ર ઉત્તમ છે; પ્રતિષ્ઠા ઇચ્છનારાઓને ગાયો શ્રેષ્ઠ છે; અને પ્રજોત્પાદન કરનારાઓને પુત્ર ઉત્તમ છે.
યક્ષ : ઇન્દ્રિયોના વિષયોને અનુભવતો, બુદ્ધિમાન લોકથી પૂજાયેલો અને સર્વ પ્રાણીઓમાં માન પામેલો એવો કયો મનુષ્ય જીવતો છતાં મરેલો છે ?
યુધિષ્ઠિર : જે મનુષ્ય દેવ, અતિથિ, પોષ્યવર્ગ, પિતૃઓ અને પોતાનો પંડ એ પાંચને કાંઇ જ આપતો નથી તે જીવતો છતાં મરેલો છે.
યક્ષ : કોણ પૃથ્વી કરતાં પણ વિશેષ ભારે છે ? કોણ આકાશ કરતાં પણ વધારે ઉચ્ચ છે ? કોણ વાયુ કરતાં પણ વિશેષ શીઘ્ર છે ? કોણ તરણા કરતાં પણ વધારે તુચ્છ છે ?
યુધિષ્ઠિર : માતા પૃથ્વી કરતાં પણ વિશેષ ભારે છે. પિતા આકાશ કરતાં પણ વધારે ઉચ્ચ છે મન વાયુ કરતાં પણ વિશેષ શીઘ્ર છે. ચિંતા તરણા કરતાં પણ વધારે તુચ્છ છે.
યક્ષ : સૂતા છતાં પણ કોણ આંખ મીંચતું નથી ? જન્મ્યા પછી કોણ હલનચલન કરતું નથી ? કોને હૃદય હોતું નથી ? અને કોણ વેગથી વૃદ્ધિ પામે છે ?
યુધિષ્ઠિર : માછલા સૂતા છતાં પણ આંખ મીંચતાં નથી. ઇંડુ જન્મ્યા છતાં પણ ચાલતું નથી. પથ્થરને હૃદય હોતું નથી. નદી વેગથી વૃદ્ધિ પામે છે.
યક્ષઃ પ્રવાસે નીકળેલાનો મિત્ર કોણ ? ઘરમાં વસેલાનો મિત્ર કોણ ? રોગીનો મિત્ર કોણ ? અને મરણની તૈયારીવાળાનો મિત્ર કોણ ?
યુધિષ્ઠિર : વેપારીઓનો સાથ એ પ્રવાસે નીકળેલાનો મિત્ર છે. ભાર્યા ઘરમાં વસેલાનો મિત્ર છે. વૈદ્ય રોગીનો મિત્ર છે અને દાન મરણની તૈયારીવાળાનો મિત્ર છે.
યક્ષ : ભૂતમાત્રનો અતિથિ કોણ છે ? સનાતન ધર્મ કયો છે ? અમૃત શું છે ? અને આ સર્વ જગત શું છે ?
યુધિષ્ઠિર : અગ્નિ ભૂતમાત્રનો અતિથિ છે. મોક્ષધર્મ સનાતન ધર્મ છે. ગાયનું દૂધ અમૃત છે. વાયુ સર્વ જગત છે.
યક્ષ : કોણ એકલો વિચરે છે ? કોણ જન્મીને પાછો જન્મે છે ? ટાઢનું ઓસડ શું છે ? અને મહાન ભંડાર કયો છે ?
યુધિષ્ઠિર : સૂર્ય એકલો વિચરે છે. ચંદ્રમા જન્મીને પાછો જન્મે છે, અગ્નિ ટાઢનું ઓસડ છે અને ભૂમિ મહાન ભંડાર છે.
યક્ષ : ધર્મનું સ્થાન કયું છે ? યશનું મુખ્ય સ્થાન શું છે ? સ્વર્ગનું મુખ્ય સ્થાન શું છે ? અને સુખનું મુખ્ય સ્થાન શું છે ?
યુધિષ્ઠિર : દક્ષતા ધર્મનું મુખ્ય સ્થાન છે. દાન યશનું મુખ્ય સ્થાન છે. સત્ય સ્વર્ગનું મુખ્ય સ્થાન છે. અને શીલ સુખનું મુખ્ય સ્થાન છે.
યક્ષ : મનુષ્યનો આત્મા કોણ છે ? તેનો દેવથી પ્રાપ્ત થયેલો મિત્ર કોણ છે ? તેનું જીવનસાધન શું છે ? તેનો પરમ આશ્રય શો છે ?
યુધિષ્ઠિર : પુત્ર મનુષ્યનો આત્મા છે. ભાર્યા તેનો દૈવકૃત મિત્ર છે. મેઘ તેનું જીવનસાધન છે. દાન તેનો પરમ આશ્રય છે.
યક્ષ : ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન કયું છે ? ધનોમાં ઉત્તમ ધન કયું છે ? લાભોમાં ઉત્તમ લાભ કયો છે ? અને સુખોમાં ઉત્તમ સુખ શું છે ?
યુધિષ્ઠિર : દક્ષતા ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન છે. વિદ્યા ધનોમાં ઉત્તમ ધન છે. આરોગ્ય લાભોમાં ઉત્તમ લાભ છે. સંતોષ સુખોમાં ઉત્તમ સુખ છે.
યક્ષ : આ લોકમાં પરમ ધર્મ કયો છે ? સદા ફલદાયી ધર્મ કયો છે ? શો નિયમ રાખવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી ? અને કોની સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી ?
યુધિષ્ઠિર : પ્રાણી માત્રને અભયદાન એ લોકમાં પરમધર્મ છે. ત્રયીધર્મી (વેદોક્તધર્મ) સદા ફલદાયી ધર્મ છે. મનોનિગ્રહ રાખવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી અને સત્પુરુષો સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી.
યક્ષ : શું ત્યાગવાથી મનુષ્ય પ્રિય થાય છે ? શું ત્યાગવાથી તેને શોક કરવો રહેતો નથી ? શું ત્યાગવાથી તે ધનવાન થાય છે ? અને શું ત્યાગવાથી સુખી બને છે ?
યુધિષ્ઠિર : માનને તજવાથી મનુષ્ય પ્રિય થાય છે. ક્રોધને તજવાથી તેને શોક કરવો રહેતો નથી. કામને તજવાથી તે ધનવાન થાય છે. લોભને તજવાથી સુખી બને છે.
યક્ષ : શા માટે બ્રાહ્મણને દાન આપવું ? શા કાજે નટ-નર્તકોને ધન આપવું ? શા માટે સેવકાદિને દ્રવ્ય આપવું ? શા કાજે રાજાઓને કર આપવા ?
યુધિષ્ઠિર : ધર્મને કાજે બ્રાહ્મણને દાન આપવું. યશને કાજે નટ-નર્તકોને ધન આપવું. ભરણપોષણને માટે સેવકાદિને દ્રવ્ય આપવું. ભયને માટે રાજાઓને કર આપવા.
યક્ષ : આ લોક શાથી ઢંકાયેલો છે, શાથી તે પ્રકાશતો નથી ? શા કારણે તે મિત્રોનો ત્યાગ કરે છે ? અને શા કારણે તે સ્વર્ગે જતો નથી ?
યુધિષ્ઠિર : અજ્ઞાનથી આ લોક ઢંકાયેલો છે. તમોગુણથી તે પ્રકાશતો નથી. લોભના કારણથી તે મિત્રોને ત્યજે છે. સંગને કારણે તે સ્વર્ગે જતો નથી.
યક્ષ : કયો પુરુષ મરેલો ગણાય ? કયું રાષ્ટ્ર મરેલું ગણાય ? કયું શ્રાદ્ધ મરેલું ગણાય ? અને કયો યજ્ઞ મરેલો કહેવાય ?
યુધિષ્ઠિર : દરિદ્ર પુરુષ મરેલો ગણાય. અરાજક રાષ્ટ્ર મરેલું ગણાય. વેદવેત્તા બ્રાહ્મણ વિનાનું શ્રાદ્ધ મરેલું ગણાય. દક્ષિણા વિનાનો યજ્ઞ મરેલો મનાય.
યક્ષ : દિશા કઇ છે ? જળ શાને કહ્યું છે ? અન્ન શું છે ? શ્રાદ્ધનો કાળ કયો ? આ પ્રશ્નોના ઉત્તર આપ અને પછી પાણી પી તથા લઇ જા.