ડરે જો દર્દથી તો કદમ આ પંથે નહીં ભરતો,
ડરે જો અશ્રુથી તો પ્રેમના દ્વારે નહીં મથતો.
હૃદયમાં વાસના તારે પ્રતિષ્ઠા ભોગને કાજે,
ડરે પોકારથી તો પ્રેમને માટે નહીં મથતો.
ગુલાબી રાહમાં ફરવા સદા ઇચ્છા રહી મનમાં,
ડરે કંટક થકી તો ભૂલથી પણ ના અહીં ફરતો.
પ્રણયને બાંધવા માગે, મથે પરિસીમ કરવાને,
વિલોકે જો ન વસુધામાં પ્રણયને દ્વાર ના રડતો.
જલાવે ઇશ્ક અંગારે, બની તલવાર એ કાપે
કપાતાં દાઝતાં ડરતો અમારી સાથ ના ભળતો !
ખુદી દે આગમાં બાળી બની 'પાગલ' સદા ભાઇ !
નિરંતર જો હું હું કરતો અમારી સાથ ના મરતો !
લૂંટી લે પ્રેમ અંતર તેમ ભિક્ષુક શા બનાવી દે,
બને ના બાદશાહ છતાં તન નહીં વ્યર્થ તો વહતો.
અનોખી એક દ્રષ્ટિમાં બલિ થવા નાતું તત્પર હો,
દિવાનાપન થકી ડરતો સ્વયંવરમાં નહીં ભળતો.
ન લાગે ઇન્દ્ર ને નૃપ અન્ય સૌ પદધૂલિના જેવા,
રમે તર્કેવિતર્કે તો ફરી પગલાં નહીં ભરતો.
- શ્રી યોગેશ્વરજી

