મારા તમારી સાથેના સ્નેહસંબંધને તથા તમારા સાક્ષાત્કારને
એ લોકો વહેમમાં ખપાવે છે,
પરંતુ એમને ખબર નથી કે એ વહેમ નથી, વાસ્તવિકતા છે.
તમારા અનુગ્રહને પરિણામે પ્રાપ્ત મારી અનુભૂતિઓને
એ લોકો મિથ્યા માને છે.
પરંતુ એમને ખબર નથી કે એ મિથ્યા નથી, સંપૂર્ણ સત્ય છે.
સમસ્ત જીવનને એમણે એશઆરામમાં ગાળ્યું છે; હજુ પણ ગાળી રહ્યા છે;
કેટલાય કુકર્મો કરીને કીર્તિવાળા થયા છે, ધનવાન બન્યા છે,
સમૃદ્ધિના શિખર પર પહોંચ્યા છે;
અને મેં મારું સમસ્ત જીવન તમારા અનુગ્રહની આહુતિરૂપ બનાવીને
એકાંતિક આરાધનામાં પસાર કર્યું છે;
હવે એ લોકો મારા તરફ મોં મચકોડીને કહે છે,
આ તો વહેમ છે, વહેમને પોષણ છે !
પરંતુ એમની એવી આધાર વિનાની વાતને કેમ માનું ?
જેમની સાથે એમને સ્વપ્ને પણ સંબંધ નથી,
જેમને માટે એમણે કદી પણ પુરુષાર્થ નથી કર્યો,
એવા અનુભૂતિના વિષયો પરના એમના અભિપ્રાયને,
અભિપ્રાય આપવાના એમના અધિકારને કેમ માનું ?
- શ્રી યોગેશ્વરજી

