સંસારની સુંદરતા, સુમધુરતા, તને મુગ્ધ ને મોહિત કરે છે ?
એ તને રસ ધરે છે, એના અનંત આકર્ષણમાં અટવાઈને તું કેદ બને છે ?
એને સંસારનું સર્વસ્વ ગણે છે ?
પરંતુ....મારે તને એ જ કહેવાનું છે કે,
કિરણમાં મોહિત થવાને બદલે એ કિરણ જેનું છે તેનો વિચાર કર.
કિરણ આટલું બધું સુંદર, સુમધુર, સ્વાદુ, આકર્ષક છે
તો જેણે એને પેદા કર્યું છે તેની સુંદરતા, સુમધુરતા, આકર્ષકતા કેટલી બધી હશે ?
પોતાના અખૂટ સૌન્દર્યભંડારમાંથી એકાદ ચપટી ભરીને એણે વેરી છે,
એના પરિણામરૂપે સૃષ્ટિમાં સૌન્દર્યમયી સુમધુર વસ્તુઓની ઉત્પત્તિ થઈ છે.
એ મૂલાધારનો વિચાર કર. એમાં કેદ બન.
મારા મન, એથી મુગ્ધ ને મોહિત થા.
હે હૃદય, એને અર્પણ થા. એને માટે જ આસન કર.
હે પ્રાણ, એને માટે પ્રેમમય બન, ફકીરી ધારણ કર. પાગલ બન.
તારી પીડા ટળી જશે, ચિંતા મટી જશે, તારી તૃપ્તિનો પાર નહિ રહે.
હે અંતરાત્મા, એ પરમ આત્મતત્વનો અનુભવ કર.
એના શતદલ કમળનો ભ્રમર બન.
- શ્રી યોગેશ્વરજી

