વર્ષા ! તારું સ્વાગત હો !
તારા શુભાગમન સમયે સ્નેહની સુમનાંજલિ ધરું છું.
તું ના હોત તો ધરતીને ધાન્યવતી કોણ કરત ?
પૃથ્વીમાં પ્રાણ પણ કોણ ભરત ?
નદી, નાળાં, તળાવ, સરોવર, સાગરની નવરચના કોણ કરત ?
આખી અવનીને માટે તું આશીર્વાદરૂપ છે.
અલબત્ત, જ્યારે મર્યાદા મૂકે છે, તારું કર્તવ્ય ચૂકે છે, ત્યારે ...
માનવને જ નહિ, પશુપંખી તથા વનસ્પતિને ય મુશ્કેલીમાં મૂકે છે :
છતાં પણ તારું આગમન ...
એકંદરે આશીર્વાદરૂપ, આવશ્યક અને એટલા જ માટે આનંદદાયક છે.
મહીને મંગળમય કરનારી, અભિનવરૂપ આપનારી વર્ષા !
એવી રીતે વરસ કે તારા સંસ્પર્શથી
વિશ્વના બધાયે વ્યથાવહ્નિ અને વિષાદ શાંત થાય :
ભેદભાવ ભાંગી જાય, મલિનતા મટી જાય,
દોષો, અપરાધો, પાપો પ્રજળી જાય તથા ખાખ થાય,
અને એક સૃષ્ટિનું, વધારે સારી સુંદર સૃષ્ટિનું, સર્જન થાય.
અવનીના અણુએ અણુને આનંદ આપનારી,
અવનવો આત્મા ધરનારી, વર્ષા ! તારું સ્વાગત હો ! સદાયે સ્વાગત હો !
- શ્રી યોગેશ્વરજી

