કેટકેટલી વસંતો કરમાઈ ગઈ, પણ મારા પ્રેમની વસંત કરમાતી નથી :
કેટકેટલી વસંતો ખીલી ને કરમાઈ ગઈ !
નદીના પૂર આવે છે ને પૂરાં થાય છે,
પરંતુ મારા ભાવનાના પૂર પૂરાં નથી થતાં,
પ્રત્યેક પળે તે નવા નવા રંગ ધારણ કરતા જાય છે.
વરસાદ આવે છે ને બંધ થાય છે.
વાદળ પથરાય છે ને વ્યોમમાંથી વિખરાઈ જાય છે.
પરંતુ તમારી કૃપાની અસાધારણ વર્ષા જીવનમાં વરસ્યા જ કરે છે:
તમારા વિચારના વાદળ અંતરમાં ઊભરાયા જ કરે છે.
તે કદી પણ નથી વિખરાતા.
સાગરમાં ભરતી અને ઓટ આવે છે;
સંગીતની સુલાવલિ ગાયિકાના મુખમંડળમાંથી નીકળીને અંતરને આનંદ આપે છે.
તમારું સંગીત પણ એવું જ આનંદ આપો; કદીકાળ બંધ ના બનો.
તમારા પ્રેમના મહાસાગરમાં ઓટ ના આવો,
સદાયે ભરતી ને ભરતી જ રહો !
લોચન તમારું રૂપ, શ્રવણ તમારા સૂર જોયા ને સુણ્યા જ કરો.
જીવન તમારી કૃપાથી પુલકિત થયા જ કરો.
- શ્રી યોગેશ્વરજી

