તમે જગાડો છો તેમ જાગું છું,
વગાડો છો તેમ વાગું છું.
મારા જેવી અનેક વાંસળીને તમે વગાડી શકો છો;
જે કેવળ જંગલમાં હતી તેને મંગલમય કરી,
અધરાસન અર્પીને,
તમારાથીય મહાન કરી દો છો.
સંગીતના સુધામય સુખદ સ્વરને સાંભળીને
શ્રોતાઓ મંત્રમુગ્ધ થાય છે, વારી જાય છે.
પરંતુ મને એનું આશ્ચર્ય નથી.
તમારા સ્વર્ગીય સંસ્પર્શનું સૌભાગ્ય સાંપડી ગયું છે,
સદાયે સાંપડી રહ્યું છે.
મને ખબર નહિ,
મારા વાંસના ટુકડાની તમે આવી વેણુ કરશો.
મને નવજીવન ધરશો.
- શ્રી યોગેશ્વરજી

