લોકો કહે છેઃ -
પ્રેમને પ્રકટ કરવા માટે સુધામય સુંદર શબ્દો કહેવા પડે
ને સરસ અભિનય કરવો પડે;
પોતાના પ્રેમપાત્રની અનેક પ્રકારે પૂજા કરવી પડે,
ને પ્રેમનાં પરિમલ ભરેલાં પ્રશંસાગાન પણ ગાવાં પડે !
પણ એ સંપૂર્ણપણે સાચું નથી.
તે દિવસે તારું સ્મરણ થતાં જ
મારા અંતર ને મારી આંખમાંથી આંસુનો વરસાદ વરસવા માંડ્યો;
એનાથી વધારે સુંદર રીતે હું મારા પ્રેમને કેવી રીતે ગાઈ શકત ?
પણ લોકોને શી ખબર કે પ્રેમનું મહાકાવ્ય મૌનમાં હોય છે
ને તેની પૂજા ને તેની મજા તેના દર્દના સનાતન સંગીતમાં સમાયલી છે ?
તે દિવસે મને પ્રેમનો સાચો મહિમા સમજાયો.
- શ્રી યોગેશ્વરજી

