ઉષાની કમનીય કલ્યાણકારી કલાની કલ્પના તો કરી જુઓ !
એને ફાળે આવેલું કામ ઘણું કપરું હતું.
તો પણ, વિરોધી વાતાવરણમાં વસીને પણ,
એ કામ એણે પૂરું કર્યું.
માળીએ પણ મીઠી માવજતથી આખા ઉપવનને મધુરતાથી મઢી દીધું.
સંગીતકારે ને શીલ્પીએ પણ પોતાની કૃતિમાં હૃદય રેલીને
શાંતિ ને પ્રસન્નતાનું પુનિત પ્રભાત પ્રકટાવી દીધું.
સમીપના સરોવરનાં કેટલાંય કમળ
પોતાની પ્રસન્નતાને પ્રકટ કરતાં ખીલી ઊઠ્યાં
ને વનને સુશોભિત કરતાં શોભી રહ્યાં.
એમની પેઠે ઉત્સાહે ઊભરાઈને નાનાં કે મોટાં જે બળ
સંસારને શાંતિમય, સમૃદ્ધ ને સ્વર્ગીય કરવાનો પરિશ્રમ કરી રહ્યાં છે,
તેમની શ્રમસાધના સફળ થાય,
ને મારું જીવન ને કવન તેમાં બાધક નહિ પણ સાધક થાય,
એવી પ્રાર્થના છે.
હે મહાકવિ,
આજના પુનિત પ્રભાતે મારી એવી પ્રાર્થના છે !
- શ્રી યોગેશ્વરજી

