કુંજમાંથી કોઈએ બંસીને પૂછ્યું :
'પ્યારી બંસી,
તું આટલું બધું સુમધુર કેવી રીતે ગાઈ શકે છે ?
તારી મીઠાશનું કારણ શું ?'
'એમાં કાંઈ નવાઈ પામવાનું કારણ નથી.'
બંસીએ ઉત્તર આપ્યો,
'તે માટે તો તારે, મેં તને સમર્પિત કરેલા ને તારા હાથમાં રહેલા,
મારા સર્વસ્વને જોવાની જ જરૂર છે.'
વિવેકી ને શાંત શ્રોતાએ એના ઉત્તરની પૂર્તિ કરતાં સાચેસાચું ઉમેર્યું :
'બરાબર છે, કેમ કે તારી પાસે તારું પોતાનું કહેવા જેવું કાંઈ જ નથી.'
એ શબ્દો પર આજે મારા મનને એકાગ્ર કરું છું
ને એમની અંદર રહેલા રહસ્યથી નવાઈ પામું છું.
તમે મારા લગીર જેટલા સાધારણ જીવનથી સંપૂર્ણપણે વાકેફ છો;
છતાં પણ તમે પણ આજે જ્યારે મને એ જ પ્રશ્ન પૂછી રહ્યા છો,
ત્યારે મારો ઉત્તર પણ એ જ હોઈ શકે, ને હશે,
કે 'મારી પાસે મારું એવું કાંઈ જ નથી.'
- શ્રી યોગેશ્વરજી

