એક બાજુ આખીયે અવનીનું ઐશ્વર્ય
ને બીજી બાજુ તારા પ્રેમનું બિંદુમાત્ર મૂકવામાં આવશે,
તો પણ હું તો તારા પ્રેમના બિંદુને જ પસંદ કરીશ.
એક બાજુ સારીયે સૃષ્ટિનું સૌન્દર્ય
ને બીજી બાજુ તારી દૃષ્ટિની છાયા માત્ર મૂકવામાં આવશે,
તો પણ હું તો તારી દૃષ્ટિની છાયાને જ પસંદ કરીશ.
એક બાજુ વિરાટ વિશ્વની વિભૂતિ
ને બીજી બાજુ તારા ચરણની રજ માત્ર મૂકવામાં આવશે,
તો પણ હું તો તારા ચરણની રજને જ પસંદ કરીશ.
કેમ કે મેં જાણ્યું છે
કે સૌન્દર્ય, વિભૂતિ ને ઐશ્વર્ય તો તારો અંશમાત્ર છે,
ને એટલા માટે જ હે મારા પ્રાણ !
હું તો તને પસંદ કરીશ;
પ્રત્યેક પળે ને પ્રત્યેક પરિસ્થિતિમાં
એક તારું જ વરણ કરીશ.
- શ્રી યોગેશ્વરજી

